ગામડાઓને કોરોના-મુક્ત કરવા મહારાષ્ટ્ર સરકારે યોજી સ્પર્ધા

મુંબઈઃ રાજ્યના ગામડાઓમાં કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો થતો રોકવા અને ગામડોને ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા મહારાષ્ટ્ર સરકારે એક ઈનામી-સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધા અંતર્ગત જે ગામડા પોતાને ત્યાંથી આ વાઈરસને નાબૂદ કરશે એમને સરકાર રોકડ ઈનામ, એવોર્ડ આપશે.

રાજ્યના ગ્રામિણ વિકાસ પ્રધાન હસન મુશરીફે આ એવોર્ડની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે અનોખી અને નવીન પ્રકારની પદ્ધતિઓ અપનાવીને કોરોનાને નાબૂદ કરવાની સિદ્ધિ હાંસલ કરનાર પહેલા ત્રણ ગામોને અનુક્રમે રૂ. 50 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 15 લાખનું રોકડ ઈનામ આપવામાં આવશે. કુલ 18 એવોર્ડ આપવામાં આવશે. રાજ્યના પ્રત્યેક છ રેવેન્યૂ ઝોનના ત્રણ-ત્રણ ગામોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવશે. આ ઉપરાંત, જે ગામડાઓ આ વૈશ્વિક રોગચાળાને કાબૂમાં રાખવા સારો દેખાવ કરશે એમને અનુક્રમે રૂ. 50 લાખ, રૂ. 25 લાખ અને રૂ. 15 લાખની રકમના વિકાસલક્ષી કાર્યો ઈનામ સ્વરૂપે આપવામાં આવશે. ઈનામવિજેતા ગામડાઓની પસંદગી કરવા માટે ખાસ સમિતિ યોજવામાં આવશે.