કોરોનાનો પ્રકોપ ચાલુ રહેતાં મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે સુધી લંબાયું

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી ઘટ્યો ન હોવાથી અને દરરોજ આ રોગના દર્દીઓની સંખ્યા તથા મૃતકોનો આંકડો વધતા હોવાથી મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરમાં લોકડાઉનની મુદતને 31 મે સુધી લંબાવી દીધી છે.

લોકડાઉનનો આ ચોથો તબક્કો હશે. આ સાથે રાજ્યમાં વધુ 14 દિવસ સુધી તમામ સ્થળોએ તાળાબંધી ચાલુ રહેશે. લોકોડાઉનને આ સતત ચોથી વાર લંબાવવામાં આવ્યું છે. એની શરૂઆત 24 માર્ચથી કરવામાં આવી હતી.

આવ્યું છે. નવા નિયમોની જાણકારી આવતીકાલે આપવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અજૉય મેહતાએ સરકારના આ નિર્ણયની જાહેરાત કરી છે. લોકડાઉન-4 31મી મેની મધરાત સુધી અમલમાં રહેશે.

દેશમાં કોરોના રોગચાળાને કારણે સૌથી વધારે ખરાબ અસર પામેલું રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં અત્યાર સુધીમાં 30,706 કેસ નોંધાયા છે અને 1,135 જણ મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા રવિવારે બપોર સુધી 90,927 હતી. આ બીમારીથી મરણને શરણ થયેલા લોકોનો આંક 2,872 હતો. દુનિયાભરમાં કોરોનાએ અત્યાર સુધીમાં 3 લાખ 12 હજારથી વધારે લોકોનો ભોગ લીધો છે. આ રોગનો શિકાર બનેલા દર્દીઓનો આંક 46 લાખ 40 હજારથી વધુ છે.

મહારાષ્ટ્રના શાસક મહાવિકાસ આઘાડી ગઠબંધનના પ્રધાનોની ગયા ગુરુવારે મુંબઈમાં બેઠક મળી હતી. જેમાં લોકડાઉનને લંબાવવા વિષયે નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.

લોકડાઉન-4માં રેડ ઝોન વિસ્તારોમાં કોરોનાના કેસ વધે નહીં એની વધારે કાળજી લેવામાં આવશે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં લોકોને વધારે છૂટછાટો આપવામાં આવશે. લોકડાઉન લંબાવવાની સાથોસાથ આર્થિક ચક્ર પણ ઘૂમતું રહે એની સરકાર પૂરતી કાળજી લેશે. એ માટે અમુક શરતો અને નિયમો અંતર્ગત ઉદ્યોગ-ધંધા શરૂ કરવા દેવામાં આવશે. કયા ઉદ્યોગોને આ તબક્કામાં શરૂ કરવાની પરવાનગી અપાશે એની જાણકારી આગામી અમુક દિવસોમાં અપાશે.

રાજ્યમાં પહેલું લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધી – 21 દિવસનું હતું.

ત્યારબાદ બીજું લોકડાઉન 15 એપ્રિલથી 3 મે સુધી – 19 દિવસનું હતું.

ત્રીજું લોકડાઉન 4 મથી 17 મે સુધી – 14 દિવસનું હતું.

ચોથું લોકડાઉન 18 મેથી 31 મે સુધી – 14 દિવસનું રહેશે.

મુંબઈમાં અત્યાર સુધીમાં 696 જણે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કન્ફર્મ્ડ દર્દીઓની સંખ્યા 18,555 છે.