લતાદીદીનાં સ્વાસ્થ્યમાં સુધારો થયો; વેન્ટિલેટર દૂર કરાયું

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપ તથા વૃદ્ધાવસ્થાને લગતી બીજી તકલીફોને કારણે અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયેલાં દંતકથાસમાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરનાં સ્વાસ્થ્યમાં આજે સવારે સુધારો જણાયો હતો. એને પગલે વેન્ટિલેટર દૂર કરીને એમને સારવાર આપવામાં આવી હતી. ‘સ્વરકોકિલા’ લતાજીને જોકે હજી પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયૂમાં જ રાખવામાં આવ્યાં છે. ડો. પ્રતિત સમદાનીની આગેવાની હેઠળ ડોક્ટરોની એક ટીમ એમની સારસંભાળ લઈ રહી છે.

92-વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ ગઈ 11 જાન્યુઆરીએ પોઝિટીવ આવ્યો હતો. એમને તેમનાં ઘરનાં કોઈક મદદનીશથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે.