વાવાઝોડાને કારણે 580 કોરોના દર્દીઓને સુરક્ષિત કેન્દ્રોમાં ખસેડી દેવાયા

મુંબઈઃ સમુદ્રી વાવાઝોડું ‘તાઉ’તે’ મુંબઈમાં પણ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર એનો સામનો કરવા સજ્જ થઈ ગયું છે. દહિસર, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી), મુલુંડ સ્થળોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા સંચાલિત જમ્બો કોવિડ-19 કેન્દ્રોમાંથી કોરોનાવાઈરસના સારવાર હેઠળના 580 દર્દીઓને અન્ય સુરક્ષિત કેન્દ્રો કે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડું ‘તાઉ’તે’ આજે રાતે મુંબઈની નજીકથી પસાર થાય એવી સંભાવના છે. પાલિકાએ બાન્દ્રા-વરલી સી લિન્કને બે દિવસ માટે બંધ કરાવી દીધો છે. આ જાહેરાત શહેરનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે કરી છે. શહેરના અનેક બીચ પર તાકીદની બચાવ કામગીરી હાથ ધરવા માટે 100 જેટલા લાઈફગાર્ડ્સને ગોઠવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે રવિવાર-સોમવારે મુંબઈ, થાણે, રાયગડમાં ભારે વરસાદ પડી શકે છે. રાયગડમાં ગઈ કાલે રાતે વીજળીના કડાકાભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો.