તો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉનઃ ઉદ્ધવ ઠાકરેની ચેતવણી

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરી હતી અને કહ્યું કે કોરોનાના કેસોને વધતા રોકવા માટે આવતીકાલ, સોમવારથી રાજ્યભરમાં તમામ મોરચા, સરઘસો, ધાર્મિક સભાઓ અને રાજકીય કાર્યક્રમો રદ થશે. ઠાકરેએ તમામ રાજકીય પક્ષોને વિનંતી કરી છે કે તેઓ કોઈ મોટા રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ન કરે.

ઠાકરેએ ચેતવણી આપી છે કે જો આપણે કોવિડ-19ના નક્કી કરાયેલા નિયમોનું પાલન નહીં કરીએ તો અમારે કડક લોકડાઉન લાગુ કરવું પડશે. જાહેર જનતાને મારી વિનંતી છે કે તમે સહુ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો, જેથી આપણે રાજ્યમાં ફરીથી લોકડાઉનને ટાળી શકીએ. નવા લોકડાઉનના અમલનો નિર્ણય જનતા પર નિર્ભર છે. આગામી સાત દિવસો ખૂબ મહત્ત્વના છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો લોકડાઉન લાગુ કરવું પડશે.

(તસવીરઃ ઉદ્ધવ ઠાકરે ટ્વિટર)