શાળાઓ માટે નવી-ગાઈડલાઈન્સ બહાર પાડીશું: મહારાષ્ટ્ર શિક્ષણપ્રધાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ ફરી વધી રહ્યા હોવાથી ચિંતા પ્રસરી છે. ઉનાળાના વેકેશન બાદ સોમવારથી ઘણી શાળાઓમાં વર્ગો ફરી શરૂ થવાના છે. કેટલીક શાળાઓ 13 જૂનથી શરૂ થવાની છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને કેટલીક સૂચનાઓ આપી છે. તે અનુસાર, રાજ્યમાં લોકોમાં માસ્ક પહેરવાના નિયમનો સખ્તાઈપૂર્વક અમલ કરાવવાનું જણાવાયું છે.

કોરોના મહામારી પ્રસરી રહી હોવાથી શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે કે નહીં? એ સવાલના જવાબમાં મહારાષ્ટ્રનાં શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું કે, શાળાઓ ફરી શરૂ તો કરાશે જ, પરંતુ એ માટે કદાચ ફરી નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓને ભણતરની બાબતમાં કોઈ નુકસાન ન થાય એની તકેદારી રાખવામાં આવશે.