મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદે ભાજપના રાહુલ નાર્વેકર ચૂંટાયા

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાહુલ નાર્વેકર આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. એકનાથ શિંદેના વડપણ હેઠળ રાજ્યમાં નવી સરકારની રચના કરાયા બાદ વિધાનસભાના વિશેષ સત્રનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. સ્પીકરપદની ચૂંટણીમાં દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા નાર્વેકરે 164 મત મેળવ્યા હતા જ્યારે શિવસેનાના ઉમેદવાર રાજન સાળવીને 107 મત મળ્યા હતા. ગૃહના અધ્યક્ષ તરીકે નાર્વેકરના નામનું સૂચન ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કર્યું હતું જ્યારે રાજન સાળવીનું નામ કોંગ્રેસના સંગ્રામ થોપટેએ ઉચ્ચાર્યું હતું. ત્યારબાદ મતદાન કરવામાં આવ્યું હતું. દરેક વિધાનસભ્યને એમની જગ્યા પર ઊભા થઈને પોતાનું નામ અને નંબર જણાવવાનું કહેવામાં આવ્યું હતું. એની નોંધ કરવામાં આવી હતી.

સમાજવાદી પાર્ટીના બે સભ્ય – પ્રમુખ અબુ આઝમી અને રઈસ શેખ ગૃહમાં હાજર રહ્યા હતા, પણ મતદાનમાં ભાગ લીધો નહોતો. એવી જ રીતે, AIMIM પાર્ટીના વિધાનસભ્ય શાહ ફારુખ અનવરે પણ મતદાન વખતે ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતું. નાર્વેકર નરહરિ જિરવાલના અનુગામી બન્યા છે. નાર્વેકરના સસરા રામરાજે નિંબાળકર મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદના સ્પીકર છે. આમ, વિધાનમંડળના બંને ગૃહમાં બંને પદ પર એક જ કુટુંબની બે વ્યક્તિ નિયુક્ત થઈ છે. નાર્વેકરે એમની રાજકીય કારકિર્દી શિવસેના પક્ષમાં જોડાઈને કરી હતી. પરંતુ બાદમાં એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યાંથી ભાજપમાં જોડાયા.