નવી દિલ્હીઃ ‘મહાભારત’માં કર્ણનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. 68 વર્ષના આ અભિનેતાએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મોતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ તેમના નિધનથી ચાહકોમાં ઊંડો શોક છવાઈ ગયો છે.
‘મહાભારત’માં અર્જુનનું પાત્ર ભજવનારા અભિનેતા ફિરોઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી છે અને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. ફિરોઝ, પંકજ ધીરના નજીકના મિત્ર હતા. તેમણે કહ્યું કે હા, આ સાચું છે કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. વ્યક્તિગત રીતે મેં એક ખૂબ સારા મિત્રને ગુમાવ્યો છે. તેઓ બહુ પ્રેમાળ વ્યક્તિ હતા. હું હજી પણ આઘાતમાં છું, મને ખબર નથી શું બોલવું જોઈએ. તેઓ ખરેખર બહુ સારા માણસ હતા અને હાલ હું વધુ કંઈ કહી શકતો નથી.
અહેવાલો મુજબ પંકજ ધીર કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ એક વખત કેન્સરથી સાજા થઈ ગયા હતા, પરંતુ થોડા મહિના પહેલાં કેન્સર ફરીથી ફેલાયું હતું અને તેમને ICUમાં દાખલ કરાવવા પડ્યા હતા. ત્યાર બાદ તેમની મોટી સર્જરી પણ થઈ હતી.
STORY | ‘Mahabharat’, ‘Chandrakanta’ star Pankaj Dheer dies at 68
Television star Pankaj Dheer, known for playing Karna in B R Chopra’s “Mahabharat” and king Shiv Dutt in fantasy drama “Chandrakanta”, has died at the age of 68 following a battle with cancer.
READ:… pic.twitter.com/8acAMPYZIz
— Press Trust of India (@PTI_News) October 15, 2025
પંકજ ધીરના નિધન બાદ CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન) તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. પંકજ ધીરના પુત્ર નિકેતન ધીર પણ અભિનેતા છે. તેમને બોલીવુડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં થંગબલીના રોલથી ઘણી લોકપ્રિયતા મળી હતી. નિકેતનની પત્ની કૃતિકા સેનગર પણ અભિનેત્રી છે — તેમણે ઝાંસી કી રાની શોમાં રાની લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું હતું.
