મુંબઈ: કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા અફરા-તફરીનો માહોલ સર્જાયો… જેના પગલે વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા વિમાનને એરપોર્ટના આઇસોલેશન બે (Isolation Bay)માં મોકલી દીધું છે અને તેની સઘન તપાસ શરૂ કરી દીધી છે.
હૈદરાબાદથી કુવૈત માટે ઉડાન ભરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે ઈન્ડિગોની ફ્લાઈટે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુવૈત માટે ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટેક-ઓફ થયાના થોડા સમય બાદ, હૈદરાબાદ એરપોર્ટને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વિમાનમાં બોમ્બ છે.
બોમ્બ સ્ક્વોડ, CISF દ્વારા વિગતવાર નિરીક્ષણ
ઇમરજન્સી લેન્ડિંગ પૂર્ણ થતાંની સાથે જ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના કર્મચારીઓએ વિમાનને ઘેરી લીધું. બધા મુસાફરો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ, બહુ-સ્તરીય બોમ્બ ધમકી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું.
નોંધનીય છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટો પછી સુરક્ષા એજન્સીઓએ તેમની સતર્કતા વધારી દીધી છે. આમ છતાં, બે અઠવાડિયા પહેલા, એરપોર્ટ અને વિમાનોને પણ બોમ્બથી ઉડાવી દેવાની વારંવાર ધમકીઓ આપવામાં આવી હતી. જ્યારે કેનેડાના ટોરોન્ટોથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ વિશે સૌપ્રથમ બોમ્બની ધમકી ફેલાવવામાં આવી હતી, ત્યારે મુંબઈથી વારાણસી જતી ફ્લાઇટ સામે પણ બોમ્બની ધમકી આપવામાં આવી હતી. વધુમાં, કેટલાક અસામાજિક તત્વોએ દિલ્હી એરપોર્ટ, ગોવા એરપોર્ટ અને ચેન્નાઈ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપી છે.




