ઓપરેશન ‘ઓલઆઉટ’થી આતંકીઓમાં ફફડાટ, હિજબુલ ચીફ પદેથી હટાવાઈ શકે છે સલાઉદ્દીન

ઈસ્લામાબાદ- કશ્મીર ખીણ પ્રદેશમાં ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટે આતંકીઓની કમર તોડી નાંખી છે. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, આતંકના આકા ગણાતા સંગઠનોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે. અને તેમાં આંતરિક લડાઈ શરુ થઈ છે.સૂત્રોએ આ સંદર્ભમાં ચોંકાવનારી માહિતી આપી છે. મળતી માહિતી મુજબ આતંકી હાફિઝ સઈદ અને મોલાના મસૂદ અઝહર સૈયદ સલાઉદ્દીનને હિજબુલના ચીફ પદેથી હટાવવા તૈયારી કરી રહ્યાં છે. અને આ માટે લશ્કર અને જૈશના ચીફે હિજબુલ મુજાહીદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનને હટાવવા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIના ભલામણ કરી છે.

જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI હિજબુલ મુજાહિદ્દીનના અન્ય કમાંડર અમીર ખાન અને ઈમ્તિયાઝ ખાનને ચીફ બનાવવા માગે છે. બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરે ISIના ઈશારે સૈયદ સલાઉદ્દીનને કશ્મીરમાં આતંક ફેલાવવા યૂનાઈટેડ જેહાદ કાઉન્સિલનો (UJC) ચીફ બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન યૂનાઈટેડ જેહાદ કાઉન્સિલમાં લશ્કર-એ-તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનું સંગઠન છે. જેની જવાબદારી સૈયદ સલાઉદ્દીન પાસે છે. પરંતુ હવે આ આતંકના આકાને નિવૃત્ત કરવાની વાત ચાલી રહી છે.