કરતારપુર સાહેબ બાદ પાકિસ્તાને 220 હિન્દુ તીર્થયાત્રીઓને આપ્યા વીઝા

નવી દિલ્હીઃ ભારતની સરહદ પાસે સ્થિત કરતારપુર ગુરુદ્વારા માટે કોરિડોર નિર્માણનો શિલાન્યાસ કર્યા બાદ પાકિસ્તાન હવે હિન્દુ તીર્થયાત્રીઓ માટે વિઝા જાહેર કર્યા છે. પાકિસ્તાન ઉચ્ચાયોગે 220 હિંદુ શ્રદ્ધાળુઓને સતગુરુ સંત શાદારામ સાહેબની 310મી જયંતીના સમારોહમાં ભાગ લેવા માટે વીઝા જાહેર કર્યા છે. સિંધ પ્રાંતમાં સિઁધુ નદીના કિનારે સ્થિત સુક્કૂર શહેરમાં 5 થી 16 ડિસેમ્બર સુધી આ આયોજન થઈ રહ્યું છે.

આ પહેલા નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાને ઐતિહાસિંક શિખ ગુરુદ્વારા માટે કોરિડોર બનાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. 1974માં ધાર્મિક યાત્રાઓને લઈને પાકિસ્તાન-ભારત વચ્ચે નક્કી થયેલા પ્રોટોકોલ અંતર્ગત ભારતના હિંદુ સિખ તીર્થયાત્રી પ્રતિ વર્ષ ધાર્મિક ઉત્સવો અને આયોજનોમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જાય છે. 300 વર્ષ જૂનુ મંદિર શાદાની દરબાર તીર્થ દુનિયાભરના તમામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ સીવાય આ નિર્ણયથી એ પણ ખ્યાલ આવ્યો છે કે પાકિસ્તાન સરકાર પૂર્ણ ભરોસા સાથે ધાર્મિક યાત્રાઓને લઈને નક્કી થયેલા પ્રોટોકોલ પર કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુરુ નાનક દેવની 549મી જયંતીના કાર્યક્રમમાંથી 3800 સિખ યાત્રી 30 નવેમ્બરના રોજ ભારત પરત આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિઝિટ દરમિયાન જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આંતરરાષ્ટ્રીય સીમા પર કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.