વિશ્વભરમાં પ્રદૂષણ પર પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલમાં, ભારતની ભાગીદારીમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે, જેમાં આસામનું બુર્નીહાટ ટોચ પર છે. સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની IQAir દ્વારા પ્રકાશિત વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024 અનુસાર, દિલ્હી વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત રાજધાની રહ્યું છે, જ્યારે ભારત 2024માં વિશ્વનો પાંચમો સૌથી પ્રદૂષિત દેશ હતો. જો કે, વર્ષ 2023માં તે ત્રીજા સ્થાને હતો.
વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 6 ભારતના
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં PM 2.5ની સાંદ્રતા 2024માં 7 ટકા ઘટીને સરેરાશ 50.6 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થવાનો અંદાજ છે, જે 2023માં 54.4 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. છતાં, વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 6 ભારતમાં છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ઊંચું રહ્યું, વાર્ષિક સરેરાશ PM 2.5 સાંદ્રતા પ્રતિ ઘન મીટર 91.6 માઇક્રોગ્રામ હતી. જે 2023માં 92.7 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સુધી પહોંચી ગઈ.
દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની
વિશ્વના ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતીય શહેરોનો સમાવેશ થાય છે – બુર્નીહાટ, દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ, લોની, નવી દિલ્હી, ગુડગાંવ, ગંગાનગર, ગ્રેટર નોઈડા, ભીવાડી, મુઝફ્ફરનગર, હનુમાનગઢ અને નોઈડા.
આયુષ્યમાં અંદાજિત 5.2 વર્ષનો ઘટાડો
એકંદરે, 35 ટકા ભારતીય શહેરોમાં વાર્ષિક PM2.5 સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થાની ૫ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતાં 10 ગણા વધુ હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર સ્વાસ્થ્ય ખતરો છે, જે અંદાજે 5.2 વર્ષ સુધીના આયુષ્યમાં ઘટાડા સાથે જોડાયેલું છે.
પ્રદૂષણથી આ ખતરનાક રોગોનું જોખમ રહેલું છે
ગયા વર્ષે પ્રકાશિત થયેલા લેન્સેટ પ્લેનેટરી હેલ્થ અભ્યાસ મુજબ, 2009થી 2019 દરમિયાન ભારતમાં દર વર્ષે લગભગ 1.5 મિલિયન મૃત્યુ PM 2.5 પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્ક સાથે સંકળાયેલા હોવાનું સંભવતઃ માનવામાં આવે છે. PM2.5 એ 2.5 માઇક્રોન કરતા નાના વાયુ પ્રદૂષણના કણોનો ઉલ્લેખ કરે છે, જે ફેફસાં અને લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદય રોગ અને કેન્સર પણ થઈ શકે છે. તેના સ્ત્રોતોમાં વાહનોના એક્ઝોસ્ટ, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા કે પાકના કચરાને બાળવાનો સમાવેશ થાય છે.
