ખાલિસ્તાન હુમલા બાદ કાર્યવાહી ન કરતા ભારતે બ્રિટનની કરી ટીકા

ગયા મહિને યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાં ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત સરકારે બ્રિટિશ સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઇએ. જો કે તે પછી પણ ખાલિસ્તાની સમર્થકોની ગેરરીતિઓ સામે આવી રહી છે. ભારત-યુકે સંબંધો પર તેની અસર થવાની શક્યતા છે. બ્રિટિશ મીડિયા સંસ્થા ‘ધ ટાઈમ્સ’ એ સમાચાર પ્રકાશિત કર્યા છે કે ભારત સરકારે બ્રિટિશ સરકાર સાથેની વેપાર વાટાઘાટોમાંથી ખસી ગઈ છે. બ્રિટિશ સરકારના સૂત્રોને ટાંકીને ધ ટાઇમ્સે સોમવારે જણાવ્યું હતું કે યુકેમાં ભારતના રાજદ્વારી ઇમારતો અને કર્મચારીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ભારત સરકાર નારાજ છે. જો ભારતના વાંધાને નજરઅંદાજ કરવામાં આવશે તો ભારતીય કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ બ્રિટન સાથેની વેપાર મંત્રણા બંધ કરી શકે છે, આ સ્થિતિમાં બે દેશો વચ્ચે મુક્ત વેપાર સોદાની યોજના પર પાણી ફરી શકે છે.

શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

ધ ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘બ્રિટિશ સરકાર ખાલિસ્તાની અલગતાવાદીઓના ઉગ્રવાદની જાહેરમાં નિંદા કરે અને તેમની સામે નક્કર પગલાં ન લે ત્યાં સુધી ભારતીયો વેપાર વિશે વાત કરવા માંગતા નથી. ભારત તરફથી, 19 માર્ચની ઘટનાઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક હુમલાખોરોએ બ્રિટનના ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં પણ ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો. તેમણે હાઈ કમિશન પરિસરના પહેલા માળની બાલ્કનીમાંથી ભારતીય ધ્વજ પણ હટાવી દીધો હતો. આ ઘટના બાદ લંડનમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોએ પ્રદર્શન કર્યું હતું અને શીખ અલગતાવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

બ્રિટિશ સરકારે હજુ સુધી નક્કર પગલાં લીધાં નથી

બ્રિટિશ રાજકારણીઓએ શીખ અલગતાવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘આ હિંસાના કૃત્યો અસ્વીકાર્ય છે’. પરંતુ, કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે જ સમયે, ન તો ભારત સરકાર કે તેના મંત્રાલયોએ બ્રિટન સાથે વેપાર વાટાઘાટો અટકાવવાના સમાચાર પર હજુ સુધી પ્રતિક્રિયા આપી નથી.