ભારત અને ન્યુ ઝીલેન્ડે મુક્ત વેપાર કરાર પર કર્યા હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારત અને ન્યુ ઝીલેન્ડે નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારતની વૈશ્વિક આર્થિક ભાગીદારીઓને વધુ મજબૂત બનાવવા માટે મુક્ત વેપાર કરાર (IN-NZ FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુ ઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લેએ હસ્તાક્ષર કર્યા. આ હસ્તાક્ષર સમારોહમાં બંને દેશોના વેપારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ એકત્ર થયા હતા. આ પ્રસંગે વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લેએ સાંસદોના સર્વપક્ષી પ્રતિનિધિમંડળ અને ન્યુ ઝીલેન્ડની 30થી વધુ કંપનીઓનું નેતૃત્વ કર્યું હતું.

મેક્લેએ જણાવ્યું હતું કે ભારત-ન્યુ ઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર દ્વિપક્ષી સંબંધોમાં એક નવા અને મહત્વપૂર્ણ અધ્યાયની શરૂઆત છે, જે સંયુક્ત આશાઓ, ગાઢ જોડાણ અને પરસ્પર લાભકારી વૃદ્ધિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ભારત-ન્યુ ઝીલેન્ડ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષરના અવસરે ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેને ઐતિહાસિક માઇલસ્ટોન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કરાર બંને દેશો માટે વેપાર, મૂડીરોકાણ અને ઇનોવેશનનાં ક્ષેત્રોમાં મોટી તકો ઊભી કરશે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આથી બજારમાં પહોંચ વધશે, નિકાસમાં વૃદ્ધિને પ્રોત્સાહન મળશે અને કૃષિ જેવાં ક્ષેત્રોમાં સહકાર વધશે. એ સાથે જ,આ કરાર સ્થિર, નિયમ આધારિત વેપાર અને લોકો વચ્ચેના ગાઢ સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે મેક્લેએ કહ્યું કે આ કરાર “એક પેઢીમાં એક વાર મળતો અવસર” છે, જે નિકાસકારો માટે નવા માર્ગો ખોલશે, રોજગારીની તકો ઊભી કરશે અને મહત્વપૂર્ણ આર્થિક સંભાવનાઓને સાકાર કરશે.

પીએમ મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું કે મને ખુશી છે કે આજે ભારત-ન્યુ ઝીલેન્ડ FTA પર થયેલા હસ્તાક્ષર અમારી વિકાસ ભાગીદારીને અભૂતપૂર્વ ગતિ આપશે. આ અમારા બંને દેશોને જોડતા ગાઢ વિશ્વાસ, સંયુક્ત મૂલ્યો અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.