લંડનઃભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની પ્રત્યાર્પણ અપીલને ફરીથી ખોલવાની મંજૂરી માગતી અરજી પર લંડન હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. ભારત મોકલવામાંથી બચવા માટે નીરવ મોદીએ નવી દલીલ આગળ ધરી છે. તેણે કહ્યું છે કે ભારતમાં તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ દરમિયાન તેને ટોર્ચર કરવામાં આવવાનો વાસ્તવિક ખતરો છે. રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસમાં અપીલની સુનાવણી લોર્ડ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જે દ્વારા કરવામાં આવી હતી. મંગળવારે આખો દિવસ ચાલેલી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે.
પીએનબી લોન કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપ
સ્ટુઅર્ટ-સ્મિથે કહ્યું હતું કે સુનાવણી સમય પહેલાં પૂર્ણ થવા છતાં આ કેસ નીરવ મોદી અને ભારતમાંથી આવેલા અધિકારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને જલદી જ નિર્ણય જાહેર કરવામાં આવશે. 54 વર્ષીય નીરવ મોદી પર ભારતમાં લગભગ બે અબજ અમેરિકી ડોલરના પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે. નીરવ ઉત્તર લંડનની પેન્ટનવિલ જેલમાંથી વિડિયો લિંક દ્વારા હાજર રહ્યો હતો.
નીરવના વકીલોની દલીલ
નીરવના વકીલોએ સંજય ભંડારીના પ્રત્યાર્પણ કેસનો ઉલ્લેખ કર્યો. ભંડારી રક્ષા ક્ષેત્રના સલાહકાર છે, જેમણે ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કર્યો હતો અને માનવાધિકારના આધારે ગયા વર્ષે તેમને પ્રત્યાર્પણમાંથી રાહત મળી હતી.
કોર્ટમાં નીરવ મોદીના બેરિસ્ટર એડવર્ડ ફિટ્ઝજરાલ્ડ કેસી એ દલીલ કરી કે ભારત મોકલવામાં આવે તો પૂછપરછ દરમિયાન અમાનવીય અથવા અપમાનજનક વર્તન કે યાતનાનો વાસ્તવિક ખતરો છે. તેમણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલાં આશ્વાસનોને અપૂરતાં અને અવિશ્વસનીય ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાંથી ગુજરાત લઈ જઈને CBI અને ED ઉપરાંત અન્ય એજન્સીઓ દ્વારા પૂછપરછ થઈ શકે છે.

જો આ અઠવાડિયાની સુનાવણી બાદ અપીલ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો નીરવ મોદીને ભારતમાં ટ્રાયલ માટે મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલવાનો માર્ગ સાફ થઈ શકે છે. ભારતમાં તેના વિરુદ્ધ ત્રણ પ્રકારની ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે — PNB છેતરપિંડી સંબંધિત CBI કેસ, તેમાંથી મળેલા પૈસાના મની લોન્ડરિંગ અંગે ED કેસ અને સાક્ષીઓ તથા પુરાવા સાથે હસ્તક્ષેપ સંબંધિત ત્રીજો કેસ.


