હાઈકોર્ટ તરફથી કેજરીવાલ, સિસોદિયા સહિત 23 લોકોને નોટિસ

નવી દિલ્હીઃ દિલ્હી લિકર નીતિ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે જણાવ્યું હતું કે EDના હવાલા એંગલ સાથે જોડાયેલા કેસમાં હાલ વધુ કાર્યવાહી નહીં થાય, જ્યાં સુધી હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પૂર્ણ ન થાય. હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી ED સંબંધિત કેસમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત કુલ 23 આરોપીઓની આરોપમુક્તિ હાલમાં અસરકારક માનવામાં આવશે નહીં. આ તમામ આરોપમુક્ત થયેલા આરોપીઓને કોર્ટે નોટિસ જારી કરી છે. આ કેસમાં આગળની સુનાવણી 16 માર્ચે નક્કી કરવામાં આવી છે.

કોર્ટે આ કેસમાં નીચલી કોર્ટ દ્વારા આરોપમુક્ત કરાયેલા તમામ આરોપીઓને નોટિસ પાઠવી તેમની પાસેથી જવાબ માગ્યો છે. એ સાથે જ કોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટના તે આદેશના એક ભાગ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે, જેમાં CBIના તપાસ અધિકારી વિરુદ્ધ વિભાગીય તપાસની ભલામણ કરવામાં આવી હતી. હાઈકોર્ટે એ પણ ટિપ્પણી કરી હતી કે નીચલી કોર્ટનાં કેટલાંક અવલોકન તથ્યાત્મક રીતે સાચાં નથી.

તેમ છતાં કોર્ટે હાલમાં તે આદેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો નથી, જેમાં કેજરીવાલ, સિસોદિયા સહિત 23 આરોપીઓને આરોપમુક્ત કરવામાં આવ્યા હતા. એટલે આ તબક્કે CBIને તરત કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે તે નીચલી કોર્ટને ED દ્વારા મની લોન્ડરિંગ કેસની તપાસ સંબંધિત કાર્યવાહી આગળની તારીખ સુધી સ્થગિત કરવા આદેશ આપશે. સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરવામાં આવેલી વિનંતી પર હાઈકોર્ટે સંકેત આપ્યો કે નીચલી કોર્ટ દ્વારા CBI અધિકારીઓ વિશે કરવામાં આવેલી “પૂર્વગ્રહપૂર્ણ ટિપ્પણીઓ”ના અમલ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.

તુષાર મહેતાએ કોર્ટને વિનંતી કરી કે CBIની અરજી પર સુનાવણી માટે સમય નક્કી કરીને અંતિમ નિર્ણય લેવામાં આવે. તેમણે દલીલ કરી હતી કે શરાબ નીતિ કેસમાં કેજરીવાલ અને સિસોદિયાને આરોપમુક્ત કરવાનો નીચલી કોર્ટનો આદેશ યોગ્ય નથી અને તે ફોજદારી કાયદાને જ ઊલટાવી દે છે.