સરકારે 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ: IMA

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ-પૂર્વમાં આવેલા વિવેકાનંદનગર, હાથીજણ તેમ જ આસપાસના વિસ્તારમાં વેપારીઓ તેમ જ શાકભાજી અને પાનના ગલ્લાવાળા તમામ લોકોએ ફરીથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જોકે બીજી બાજુ રાજ્યમાં સરકાર લોકડાઉન લગાવવાની વાત સતત નકારી રહી છે, પરંતુ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ની રાજ્યની શાખાએ રાજ્યમાં બે સપ્તાહનું લોકડાઉન લગાવવાનું સૂચન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં પોતાના જવાબમાં IMAએ આ સૂચન કર્યું છે.

IMAના ગુજરાતના પ્રમુખ ડો. દેવેન્દ્ર પટેલે હાઈકોર્ટને કહ્યું હતું કે ‘જો રાજ્ય સરકાર લોકડાઉનની તરફેણમાં ન હોય તો તેણે લોકોને ઘરની બહાર નીકળતા અટકાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનું વિચારવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સરકારે 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લગાવવું જોઈએ.
જોકે રાજ્યમાં ઘણાં વેપારી મહામંડળો દ્વારા આંશિક કે સંપૂર્ણ લોકડાઉનની પહેલ કરવામાં આવી છે, જેમાં કામકાજના કલાકો ઘટાડો કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
અમદાવાદના વિવેકાનંદનગર, હાથીજણ અને આસપાસના વિસ્તારોમાં 10 દિવસનું સફળ આંશિક લોકડાઉનને સામાજિક આગેવાન, વેપારીઓ, શાકભાજી, લારી-ગલ્લાવાળા તેમ જ અન્ય તમામ લોકો દ્વારા 30 એપ્રિલે એટલે કે 10 દિવસનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે, આંશિક લોકડાઉન દરમિયાન બપોર બાદ 4 કલાકથી તમામ બજારો અને દુકાન બંધ રહેશે.