‘કોંગ્રેસના હાર્દિક’ પર નિતીન પટેલના આકરા પ્રહાર, રાહુલને પણ જવાબ આપ્યો

અમદાવાદ– ડેપ્યૂટી સીએમ નિતીન પટેલે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી પોતાની પ્રતિક્રિયા આપી હતી, અને કહ્યું હતું કે હાર્દિક પહેલાં કહેતો હતો કે હું રાજકારણમાં જોડાવાનો નથી, મારી લડાઈ સમાજને અન્યાયની સામે છે, હોદ્દા માટે નથી. તો પછી કેમ હવે કોંગ્રેસમાં જોડાયો. હાર્દિક જવાબ આપે. અને ગુજરાત જાણે છે કે હાર્દિક પટેલ કોંગ્રેસનો એજન્ટ છે, પહેલાં અમે કહેતા હતાં તે સાચું પડ્યું છે.રાહુલ ગાંધીએ અડાલજમાં મીડિયા સાથેની વાતચીતમાં પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી જીતશે. રાહુલના આ નિવેદન પર નિતીન પટેલે તીખો પ્રહાર કર્યો હતો અને કહ્યું કે હવે તેને ખબર પડશે કે ચૂંટણી કેમ જીતાય છે, લડવા તો દો. કોંગ્રેસના બિનપાટીદાર નેતાઓ ખુલ્લા પડી ગયા છે, અને હાર્દિક રાહુલ ગાંધી સાથે હોટલોમાં ગુપ્ત બેઠકો કરતો હતો. ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે, સમાજનો સહારો લઈને ગુજરાતમાં અશાંતિ ફેલાવાનું કામ કર્યું હતું. કોંગ્રેસને આવો જ વ્યક્તિ જોઈતો હતો, જે ગુજરાતમાં ભાગલા પડાવે.ડેપ્યુટી સીએમ નિતીન પટેલે ગાંધી પરિવાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે પ્રિયંકા ગાંધી આટલા મોટા થયા ત્યાં સુધી ગાંધી આશ્રમમાં આવ્યા જ નથી, અને આજે ગુજરાતમાં વોટ લેવા હતા, તો આવ્યા છે. મસુદ અઝહરને છોડવાના મુદ્દે રાહુલના નિવેદન સામે નિતીન પટેલ કહ્યું કે રાહુલ ગાંધી ઈતિહાસ જાણતા નથી, પ્લેન હાઈજેક થયું ત્યારે હજારો નાગરિકોના જીવ જોખમમાં હતા. તે વાજપેયી સરકારે તમામ પક્ષોની વાત સાંભળીને નિર્ણય કર્યો હતો.તેમજ રાહુલ ગાંધી જે ગબ્બરસિંહ ટેક્સની વાત કરે છે તે જીએસટી અંગે રાહુલ ગાંધી અભ્યાસ કરે, તેમના તમામ રાજ્યોના નાણાપ્રધાનને સાથે રાખીને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. કોંગ્રેસ સત્તામાં આવશે કો ખેડૂતોના દેવા માફ થશે, તેવા રાહુલના નિવેદન સામે નિતીનભાઈએ કહ્યું કે રાહુલ પાયા વગરની વાત કરે છે. મોદી સરકારે ખેડૂતોની આવક વધે તે માટે અનેક નિર્ણયો કર્યા છે. ખેડૂતોને ખેતપેદાશ માટેની સામગ્રી માટે સબસીડી આપી છે.