ગૃહપ્રધાન વતનમાં: રૂ. 300 કરોડનાં વિકાસ-કાર્યોનું ખાતમુહૂર્ત

 અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વિધાનસભા-2022ની ચૂંટણી પહેલાં છેલ્લા 15 દિવસમાં અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. તેમણે કલોલના ભારતમાતા ટાઉન હોલમાં BVM ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરીને જનતાની સભા સંબોધી હતી.

આ પહેલાં ગૃહપ્રધાને સોલા સિવિલમાં રાજ્યની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગરીબમાં ગરીબ નાગરિકને પણ આરોગ્ય સંબધી સેવા મળી રહે તેની ચિંતા સરકાર કરી રહી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 100 કરોડ નાગરિકોને લાભ મળી રહ્યો છે, જેમાં રૂ. પાંચ લાખ સુધીનો સારવારનો ખર્ચ કેન્દ્ર સરકાર આપી રહી છે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ આજે રાજ્યના છેવાડાનાં ગામડાઓમાં પણ 24 કલાક વીજળી મળી રહી છે. શાહ આજે નારણપુરામા આકાર પામેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ખુલ્લું મૂકશે. ગોતા અને થલતેજમાં રૂ. 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાન મંત્રી આવાસનું લોકાપર્ણ કરશે. સરખેજમાં રૂ. પાંચ કરોડ સરખેજ ગાર્ડનનું ડેવલમેન્ટનો ચિતાર મેળવશે. આ સાથે જ તેઓ ત્રણથી વધુ સ્થળે જનસભાઓ પણ ગજવશે.

કલોલથી નીકળીને ગૃહપ્રધાન અમિત શાહનો કાફલો ભોંયણ મોટી પ્રાથમિક શાળા પહોંચ્યો હતો. શાળાની મુલાકાત લીધા બાદ શાહે રાયચંદ ઠાકોર નામના એક કાર્યકરની તબિયત જોવા માટે તેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાયચંદ ઠાકોર ભાજપના જૂના કાર્યકર છે તેમને કેન્સર થયું છે. જેથી ગૃહપ્રધાને ખાસ તેમની મુલાકાત લઈને તેમની સારવાર અને ખબરઅંતર પૂછ્યા હતા.

શાહ રૂ. 306 કરોડના વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જેમાં તેઓ આવાસ, વોટર પ્રોજેક્ટ ઉપરાંત બોપલ ઇકોલોજી પાર્કનું પણ લોકાર્પણ કરશે. તેઓ આજે અમદાવાદના બોપલ વિસ્તારમાં નવા બનાવેલા ઇકોલોજી પાર્કનું પણ લોકાર્પણ કરશે. તેઓ આ સાથે જ AMCના વિવિધ વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે.