રાજ્યમાં કોરોનાના નવા 405 કેસઃ અમદાવાદના 310

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના પ્રકોપ યથાવત છે. કોરોના રુપી કાળો કેર શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો. એમ કહી શકાય કે, રાજ્યમાં કોરોના વાયરસે રીતસરનો કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ સામે આવ્યા છે. તો 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 310 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 224 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યભરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 14468 પર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક આજે વધારે જોવા મળ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં 405 કેસોમાંથી અમદાવાદમાં જ 310 કેસો નોંધાયા હતા. આમ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે એ સૌથી મોટો સવાલ છે. સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ-નર્મદામાં 3-3, ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગરમાં 2-2, રાજકોટ-મગેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર-અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 14468 થયો છે. જેમાંથી 109 દર્દીઓ વેન્ટિલેટર છે. જે પણ એક ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં ગંભીર દર્દીઓની હાલતમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યારે કુલ દર્દીઓમાંથી 6835 દર્દીઓની હાલત સ્થિર છે. અને કુલ 6636 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અને મોતનો કુલ આંક 888 થયો છે. છેલ્લા 24 કલાકમાં 30 મોત થયા હતા. જેમાંથી અમદાવાદમાં જ 25 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે ગાંધીનગરમાં 3, આણંદ-સુરતમાં 1-1 દર્દીઓનાં મોત નિપજ્યા છે.

અમદાવાદમાં હવે ડિસ્ચાર્જના કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 136 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે સુરતમાં 34, વડોદરામાં 13, રાજકોટમાં 11, ગાંધીનગરમાં 7, ખેડા-પાટણમાં 5-5, જૂનાગઢ-પંચમહાલમાં 4-4, આણંદમાં 2, ગીર સોમનાથ-મહેસાણામાં 1-1 અને વલસાડમાં 1 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 1 લાખ 86 હજાર 361 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 14468 પોઝિટિવ અને 171893 નેગેટિવ છે. હાલ રાજ્યભરમાં 442597 લોકો કોરોન્ટાઈન હેઠળ છે. જેમાં 431046 હોમ કોરોન્ટાઇન હેઠળ છે. તો સરકારી ફેસિલીટીમાં 10789 અને ખાનગી ફેસિલીટીમાં 762 લોકો કોરોન્ટાઈન હેઠળ છે.