કોરોના અમદાવાદના કોંગ્રેસી કોર્પોરેટર બદરુદ્દીન શેખને ભરખી ગયો

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું ગઈ કાલે કોરોના સંક્રમણને લીધે મોત થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી શહેરની SVPમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ 68 વર્ષના હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘મારી પાસે શબ્દો નથી… બદરુદ્દીન ગુજરાત કોંગ્રેસના એક આધારસ્તંભ સમાન ગણાતા હતા.  ગરીબ જનતા માટે તેઓ સતત કામ કરી રહ્યા હતા અને ત્યાં જ તેમને કોરોના સંક્રમણ થયું હતું.’

બદરુદ્દીન શેખ અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર હતા. તેઓ ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વનાં પદો રહી ચૂક્યા હતા. ગઈ 15 એપ્રિલે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડતાં એમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પહેલાં તેમને કેટલાક દિવસો સુધી ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા.