ગિરનાર રોપ-વેને ‘શ્રેષ્ઠ યુનિક ટુરિઝમ આકર્ષણ’ એવોર્ડ

જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર રોપ-વે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. પેસેન્જર રોપવે ક્ષેત્રે અગ્રણી ગણાતી ઉષા બ્રેકોએ વિકસાવેલા ગિરનાર રોપ-વેને ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન આકર્ષણ –બેસ્ટ યુનિક ટુરિઝમ અટ્રેકેશન ઓફ ગુજરાત સોમવારે ટુરિઝમ એવોર્ડ- 2020 એનાયત થયો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ગિફ્ટી સિટીમાં આ એવોર્ડ પ્રવાસનપ્રધાન જવાહરભાઈ ચાવડા અને રાજ્યપ્રધાન વાસણભાઇ આહિરને હસ્તે કંપનીના રિજિયોનલ વડા દીપક કપલિશને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કંપનીએ ગિરનાર રોપ-વે રૂ. 130 કરોડના ખર્ચે બાંધ્યો છે. આ રોપ-વે દેશના આધુનિક રોપ-વેમાં થાય છે. વળી, એ વિશ્વમાં સૌથી લાંબો મંદિર રોપ-વે પણ છે. આ રોપ-વેથી ગિરનાર અને જૂનાગઢમાં ટુરિઝમ પ્રવૃત્તિને વેગ મળશે. આ ઉપરાંત ગિરનારની આસપાસ આવેલા સોમનાથ અને દ્વારકાના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 24 ઓક્ટોબર, 2020માં ગિરનાર રોપ-વે ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધીમાં આ રોપ-વેમાં બે લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી ચૂક્યા છે.