સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જઃ મુકિમ

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મુકિમે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વરસાદને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે અને રાજ્યમાં પરિસ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે, એમ તેમણે જણાવ્યું હતું.

વરસાદનું જોર ઘટશે

રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક કહ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં ડેમ-જળાશયોની સ્થિતિ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ દ્વારા પણ આ સંદર્ભે જરૂરી સમીક્ષા કરીને સંબંધિત વિભાગ તથા સ્થાનિક વહિવટી તંત્રને અગમચેતીનાં પગલાં લેવા તથા જરૂર જણાય ત્યાં સ્થળાંતરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડ બાય

હાલ ૧૩ NDRFની ટીમો અને SDRFની બે ટીમો સંબધીત જિલ્લાઓમાં તહેનાત છે. એ ઉપરાંત NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે.

રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 120 મિમી

રાજ્યમાં ૯૪ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મિમીથી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૩૩ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મિમી સુધી, ૨૪ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મિમી સુધી અને ૨૫૦ મિમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવો એક પણ જિલ્લા નથી. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૧૧૯.૭૮ ટકા થઈ ગયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ ૨૫૧.૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૧.૭૨ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૭.૫૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર

રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૬૭,૦૧૦ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૭૯.૯૨ ટકા જેટલો છે. હાલ ૧૩૮.૬૮ મીટરે જળ સપાટી છે. એ ઉપરાંત રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ ઉપર છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે.

રાજ્યમાં ૧૩ ઓગષ્ટ,૨૦૨૦થી આજ સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૯,૫૨૩ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જે પૈકી હાલ ૧૨૮૬ લોકો આશ્રયસ્થાનોમાં છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વરસાદને પરિણામે ૩૦ ગામમાં વીજપુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વર પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રિપો બંધ

રાજ્યના એસટી બસની ૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રિપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના ૩૩ અને પંચાયત હસ્તકના ૨૩૨, નેશનલ હાઇવે એક તથા અન્ય ૩૧ મળી કુલ ૨૯૭ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સારા વરસાદને પરિણામે ૯૭.૧૪ ટકા વાવેતર થઇ ગયું છે.