નવલાં નોરતાંનો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર મુખ્યપ્રધાન કરાવશે પ્રારંભ

ગાંધીનગર:- નવરાત્રિએ પાવન તહેવાર છે જેમાં દરેક ખેલૈયાઓ, ભુલકાઓ, વયોવૃદ્ધ આ તહેવારની મજા માણે છે. રાજ્ય સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા  અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તારીખ  10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી વિશ્વના સૌથી લાંબા ચાલનારા નૃત્ય મહોત્સવ- નવરાત્રિ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે અને આ સમયે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. નવરાત્રિનું મહત્વ હિંદુ ધર્મમાં ખૂબ જ છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના માટે બીજા અને આઠમાં નોરતું ખૂબ જ અગત્યનું હોય છે જેમાં આઠમના દિવસે માંની શક્તિની આરાધના માટે નૈવેદ્ય કરવામાં આવે છે જે માંની ઉપાસનાનું પ્રતિક છે. ગુજરાતની આ ભવ્ય ઉજવણીને જોઈને હવે વિદેશમાં પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ગુજરાતીઓ માટે ગૌરવ સમાન બાબત છે.

આ વર્ષે સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત મિશન હેઠળ આપણે ત્યાં છત્તીસગઢથી ૧૮  કલાકારો આવ્યા છે  જે સાંસ્કૃતિક કળાઓને રજૂ કરશે જ્યારે 200થી પણ વધુ કલાકારો ગુજરાતભરનું સાંસ્કૃતિક પર્ફોર્મન્સ રજૂ કરશે. દરરોજ રાત્રે ૯ કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે. આ વર્ષે થીમ પેવેલિયનમાં રાજ્યના વિવિધ આકર્ષણો પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત છત્તીસગઢ તરફથી ક્રાફ્ટ સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાઈ છે. આ સમયે અમારી પાસે 75 જેટલા ક્રાફ્ટ સ્ટોલ્સ છે જે ગુજરાતની વિવિધ હસ્તકલા અને પરંપરાગત ચીજોનું નિરુપણ કરશે. જ્યારે ફૂડકોર્ટમાં 26 જેટલા વિવિધ સ્ટોલ્સ રહેશે જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓની ખાદ્ય ચીજો ને માણવાનો અનેરો લહવો મળશે. બાળકો માટે બાલનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે એડવેંન્ચર એક્ટિવિટી જેવી કે આર્ટિફિશિયલ રોક ક્લાઇન્બિંગ,રોકેટ પેરાશૂટ, બંજી ટ્રમ્પોલિંગ, બંજી ઇજેક્શન, હાઇ રોપકોર્સિસ, મેકેનિકલ બૂલરાઈડ વિગેરે જે બાળકો ને મનોરંજન પૂરું પાડશે. દરરોજ રાત્રે ૯ કલાકથી મધ્યરાત્રિ સુધી શેરી ગરબા પણ યોજાશે અને રોજ રાત્રે ૧૧:૪૫ એ મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મા આદ્યશક્તિની આરાધનાના આ શુભ પ્રસંગે નવરાત્રિ દરમ્યાન દર વર્ષે દેશ -વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે નવરાત્રી દરમ્યાન પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2013માં નવરાત્રી મહોત્સવનો લાભ લેનારાઓની સંખ્યા આશરે 3 લાખ હતી જે વધીને વર્ષ 2017માં 6.50 લાખથી વધુ રહી હતી.

આ પ્રસંગે જેનું દેવન મેનેજિંગ ડિરેક્ટર- ટીસીજીએલ જણાવે છે કે- “ગુજરાતીઓ માટે નવરાત્રિ એ એવો તહેવાર છે કે કોઈપણ ઉંમર ના લોકો માં થનગનાટ લાવે છે. વધુ માં, પ્રવાસીઓ આ તહેવાર દરમ્યાન ગુજરાત ની મુલાકાત લે અને અહી ની સંસ્કૃતિ ને જાણે અને માણે એવી મારી શુભેરછાઓ છે.”

નવરાત્રિ-૨૦૧૮ની વધુ માહિતી www.gujarattourism.com પર થી મેળવી શકશો.