ચિત્રલેખાના પત્રકારને ગુજરાત મીડિયા એવોર્ડ એનાયત

અમદાવાદ: ગુજરાત મીડિયાવેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત મીડિયા એવોર્ડ્સ અર્પણ સમારોહનું આયોજન 11મી ઓક્ટોબર અમદાવાદ ખાતે કરાયું હતું. વિવિધ કેટેગરીઝમાં કુલ 21 એવોર્ડ અપાયા હતા. જેમાં ચિત્રલેખાના રાજકોટ સ્થિત વરિષ્ટ પત્રકાર જ્વલંત છાયાને પોઝિટીવ સ્ટોરી માટે એવોર્ડ જાણીતા કટારલેખક-પત્રકાર દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાયો હતો.

11મીએ સાંજે યોજાયેલા એક ગરિમાપૂર્ણ સમારોહમાં આ એવોર્ડ અપાયા હતા. આર્થિક બાબતોનું પત્રકારત્વ વર્ષોથી કરતા જયંતિભાઇ દવેને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અને નવગુજરાત સમયના તંત્રી અજય ઉમટને સ્પેશ્યલ જ્યુરી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. એ ઉપરાંત ટીવી એન્કર, આરજે તથા ફીચર લેખન અને રીપોર્ટીંગ માટે પણ એવોર્ડ અપાયા હતા.

ચિત્રલેખામાં 2018ના ફેબ્રુઆરી માસમાં નિર્ભય ઠક્કર નામના એવા વિદ્યાર્થીની ન્યૂઝ સ્ટોરીછપાઇ હતી જેણે પંદર વર્ષની નાની વયે એન્જિનીયરીંગની ડિગ્રી મેળવી હતી. આ સ્ટોરી ની પસંદગી એવોર્ડ માટે થઇ હતી. એવોર્ડ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરત પંડ્યા, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, જાણીતા કવિ-લેખક તુષાર શુક્લ સહિતનાઅગ્રણીઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

એવોર્ડના કાર્યક્રમનું આયોજન અંકિત હિંગુએ કર્યું હતું. વરીષ્ટ નિવૃત્ત આઇએએસ ઓફિસર પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષા સોનલ પંડ્યા તથા નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ,અમદાવાદના ડિરેક્ટર શિરિષકાશીકરે આ એવોર્ડ માટે નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી.