ચિદંબરમે પૂલ દુર્ઘટના મામલે ભાજપને આડે હાથ લીધો

અમદાવાદઃ મોરબીની પૂલ દુર્ઘટનાને લઈને રાજકારણ જારી છે. કોંગ્રેસના નેતા પી. ચિદંબરમે અમદાવાદમાં ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે મોરબીની દુર્ઘટનાએ ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકાર દ્વારા કે કોઈએ પણ આ દુર્ઘટના માટે માફી નથી માગી કે નથી કોઈએ આ ઘટનાની જવાબદારી સ્વીકારીને રાજીનામું  આપ્યું.

તેમણે વડા પ્રધાનની તીખી આલોચના કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની સરકાર મુખ્ય મંત્રી દ્વારા નથી ચલાવવામાં આવતી, પણ દિલ્હીના રિમોટ કન્ટ્રોલથી ચાલે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ વેતન દર દેશમાં સૌથી નીચો છે. મારી ગુજરાતની જનતાને અપીલ છે કે ‘સરકાર બદલવા માટે મત આપો. અહીં અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનો બેરોજગાર છે.તેમણે અર્થતંત્રની વાત કરતાં કહ્યું હતું કે દેશમાં મંદી નહીં આવે પણ વિકાસ ધીમો પડશે. આ પહેલાં કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોરબી દુર્ઘટના અંગે વડા પ્રધાન પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદીના આકર્ષણને લીધે ગુજરાતમાં મોરબી પૂલ તૂટ્યો? જેમાં અનેક લોકોનાં મોત થયાં હતાં. વડા પ્રધાને કહ્યું હતું કે બંગાળમાં પૂલ તૂટવો એ ત્યાંના લોકોની આંખો ખોલવા માટે ઇશ્વરનું કાર્ય હતું, હવે અહીં મોરબીમાં પૂલ કોણે તોડ્યો? એમ તેમણે સવાલ ઊભો કરતાં કહ્યું હતું.

ચિદંબરમે આપ પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં જો તમે એર ક્વોલિટી પર વિશ્વાસ રાખતા હો તો તમે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને મત નહીં આપો.