સાવધાનઃ રાજકોટના વેપારીને દિલ્હી બોલાવી 15 લાખ રુપિયા લૂંટી લીધાં

દિલ્હી- ઠગાઇના એક કેસમાં ગુજરાતના રાજકોટના એક વેપારીને ડીલ કરવા માટે દિલ્હી બોલાવી બંદૂકની અણીએ 15 લાખ રુપિયા લૂંટી લેવાયાં હતાં. ઓએસએખ્સ પર સસ્તાં પ્લાસ્ટિક દાણાની લાલચ આપીને વેપારીને દિલ્હી બોલાવાયો હતો.રાજકોટના હિમાંશુભાઇએ દાખલ કરાવેલી ફરિયાદ પ્રમાણે તેમને ઓએલએક્સ પર સસ્તા પ્લાસ્ટિક દાણાંની જાહેરાત બતાવી તે સંબંધિત લોકોએ સંપર્ક કર્યો હતો. હિમાંશુભાઈ 10 એપ્રિલે ગુજરાતથી દિલ્હી ગયાં ત્યાંથી ગુડગાંવ બોલાવાયાં અને ત્યાંથી તેમને આરોપીઓએ પિક કર્યાં. જ્યાંથી રુપનગર નાટોલીના બહીનમાં માલ દેખાડવાના બહાને લાવીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી અને માથે બંદૂક તાકીને 15 લાખ રુપિયા લૂંટી લીધાં હતાં.

પોલિસે કેસ નોંધીને કેટલાક સ્થળો પર રેઇડ પણ પાડી હતી અને દાવો કર્યો છે કે જલદી જ આરોપીએ સકંજામાં હશે. ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પણ આજ પદ્ધતિએ અમદાવાદના અશ્વિન શાહ સાથે પણ ઘટના બની હતી. તેમ જ એક અન્ય ગુજરાતી વેપારી પણ આ રીતે ઠગાયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારના 71 કેસ સામે આવી ચૂક્યાં છે પરંતુ આવા બનાવ બનતાં અટકાવવામાં પોલિસ કોઇ નક્કર પરિણામ લાવી શકી નથી.