નવરાત્રિની ઉજવણી પર પ્રતિબંધ, સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

અમદાવાદઃ તહેવારોની સીઝન શરૂ થવામાં છે, ત્યારે રાજ્યમાં કોરોના વધુ ના ફેલાય એ માટે સરકારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લેતાં આગામી તહેવારોને અનુલક્ષીને નવરાત્રિ, દુર્ગા પૂજાથી માંડીને દિવાળી સુધીના તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારે નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી માટે માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકાનો અમલ 16 ઓક્ટોબર, 2020થી કરવાનો રહેશે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે અમે કોરોના મહામારીમાં AMAનો અભિપ્રાય અને મિડિયા રિપોર્ટ જોઈ નક્કી કર્યું છે. કોરોના મહામારીના કારણે ખૈલેયાઓમાં ગરબામાં નિયંત્રણ રહેશે નહીં માટે ગરબા નહીં જ કરી શકાય. માત્ર પૂજા-અર્ચના કરી શકશે, પણ ગરબા બિલકુલ નહીં કરી શકાય.

સરકારે નવરાત્રિના ગરબા, દશેરા દિવાળી, બેસતા વર્ષ નિમિત્તે નૂતન વર્ષ સ્નેહમિલનના,  શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડેલી માર્ગદર્શક સૂચનાઓ નીચે મુજબ છે.

  • રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ ૧૬ ઓક્ટોબર, 2020થી કરવાનો રહેશે
  • આ નિર્ણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈ પણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.
  • નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી-મૂર્તિ ની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય અને પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ ઉપરાંત આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
  • ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં તેમ જ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.તમામ SOPનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
  • કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
  • સામાજિક અંતરનું અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
  • સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે માસ્કથી ઢાંકી રાખવો પડશે.
  • થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમ જ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે.
  • હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
  • સમારંભ દરમિયાન થૂંકવા તેમ જ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
  • ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે
  • જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
  • લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
  • મૃત્યુ બાદની અંતિમ ક્રિયા, ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન  વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ  શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા, ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
  • આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે
  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
  • આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

 

મેડિકલ એસોસિયેશન સ્પષ્ટ ના પાડી હતી

શેરી-ગરબા સહિત નવરાત્રિના આયોજનને લઈને આશા હતી કે રાજ્ય સરકાર મંજૂરી આપશે, પરંતુ 16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. જોકે અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો જ બધા માટે હિતાવહ રહેશે. નહિ તો પરીસ્થિતિ કથળશે.