બસમાં આગ લાગતાં પાંચ જણ જીવતા ભૂંજાયા

લખનૌઃ ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા.

મોહનલાલગંજ નજીક કિસાન પથ પર સવારે એક બસમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું  હતું કે  બસમાં આગ લાગતાં ઈમરજન્સી ગેટ લોક થઈ ગયો હતો. જેને લીધે પાછળ બેઠેલા લોકો આગમાં ફસાયા હતા. તેઓ બહાર નીકળવામાં નિષ્ફળ રહેતાં આગની ઝપટમાં આવી ગયા હતાં. આ ઘટનામાં બે બાળકો, બે મહિલા અને એક પુરુષ સહિત કુલ પાંચ લોકોનાં મોત થયાં છે.

જોકે આ બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં પાંચ-પાંચ કિગ્રાનાં સાત ગેસ સિલિન્ડર હતાં. જોકે કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતા. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતમહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.