બોલીવુડમાં દેશભક્તિપૂર્ણ ફિલ્મો બનાવવાનો શ્રેય મનોજ કુમારને જાય છે. એમણે પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારની ફિલ્મો કરી, પરંતુ એમની દેશભક્તિની ફિલ્મો કંઈક અલગ જ હતી.
પોતાની ફિલ્મો દ્વારા એમણે દેશ અને સમાજનું સત્ય દર્શકો સમક્ષ ઉજાગર કર્યું. મનોજ કુમારની આ ફિલ્મો સદાબહાર છે અને આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીં એમની એવી ફિલ્મો વિશે જાણીએ જેમાં દેશ, સમાજ અને પરિવારના મુદ્દાઓને દર્શાવવામાં આવ્યા હતા.
શહીદ
૧૯૬૫માં શહીદ ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં મનોજ કુમારે શહીદ ભગતસિંહની ભૂમિકા ભજવીને દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. આ ફિલ્મ એમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. શહીદને બિંદીની શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
ઉપકાર
મનોજ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ઉપકાર, 1967 માં રિલીઝ થઈ હતી. એ જય જવાન જય કિસાન પર આધારિત હતી. આ ફિલ્મમાં મનોજ કુમારે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, પટકથા અને સંવાદ શ્રેણીઓમાં ફિલ્મફેર પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ બ્લોકબસ્ટર બન્યા પછી, મનોજ કુમારનું નામ ભારત કુમાર રાખવામાં આવ્યું.
પૂરબ ઔર પશ્વિમ
૧૯૭૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નું દિગ્દર્શન પણ મનોજ કુમારે જ કર્યું હતું. આ ફિલ્મે લોકોમાં દેશભક્તિના ઉત્સાહને ભરી દીધો. આ ફિલ્મ વિદેશમાં રહેતા ભારતીયોની સ્ટોરી પર આધારિત હતી.
રોટી, કપડાં ઔર મકાન
મનોજ કુમારની ફિલ્મ “રોટી કપડા ઔર મકાન” ૧૯૭૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ પણ રહી હતી. આમાં, ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી દેશની બગડતી પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સામાન્ય માણસની રોટી, કપડાં અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતો દર્શાવવામાં આવી હતી.
ક્રાંતિ
મનોજ કુમારની ૧૯૮૧ની ફિલ્મ ક્રાંતિ પણ દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. આમાં ભારતીયો પર અંગ્રેજોના અત્યાચારો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મનોજ કુમાર, દિલીપ કુમાર, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા અને શશિ કપૂરે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મના બધા જ ગીતો સુપર હિટ રહ્યા હતા. આજે પણ આ ફિલ્મના દરેક ગીત લોકોના દીલો-દિમાગ પર રાજ કરે છે.
આ ઉપરાંત પણ મનોજ કુમારની અનેક એવી ફિલ્મો આવી જેમાં ક્યાંકને ક્યાંક એનું કનેક્શન દેશપ્રેમને સ્પર્શતું હોય છે. ઉપરાંત એમની ફિલ્મો સમાજને સાચો અરીસો બતાવવાનું પણ કામ કરે છે.
