સોનૂ સૂદ ફિલ્મના પડદા પર બનશે ‘કિસાન’

મુંબઈઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 40 દિવસોથી ખેડૂતો કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં આંદોલન-ધરણા કરી રહ્યા છે તેવામાં બોલીવૂડ દિગ્દર્શક ઈ. નિવાસ કિસાન વિષયને લઈને એક ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં ‘માનવતાવાદી’ અભિનેતા સોનૂ સૂદ શિર્ષક ભૂમિકા ભજવશે. અન્ય કલાકારોની પસંદગી હજી બાકી છે. નવી ફિલ્મની જાહેરાતને પગલે મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને સોનૂ અને ઈ. નિવાસને અભિનંદન આપ્યા છે.

સોનૂએ તાજેતરમાં જ એક પુસ્તકનું પ્રકાશન કર્યું છે જેમાં તેણે દેશવ્યાપી કોરોના વાઈરસ લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય કામદારો-મજૂરોને મદદરૂપ થવામાં પોતાને થયેલા અનુભવો અને જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતો દર્શાવી છે. અમિતાભ, રવીના ટંડન, રાજકુમાર રાવ, દક્ષિણી ફિલ્મોના અભિનેતા ચિરંજીવી આ પુસ્તક ખરીદતા જોવા મળ્યા હતા.