વલસાડમાં એસટી બસ-બાઇકના અકસ્માતમાં દંપતીનું કરુણ મોત

વલસાડઃ શહેરના આર.પી.એફ. ગ્રાઉન્ડ પાસે બાઇક સ્લીપ થતાં પાછળથી આવતી રાજ્ય પરિવહનની એસટી બસ બાઇકસવાર ફરી વળતાં દંપતીનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. તડકેશ્વર મંદિર પાસે બાઇક સ્લિપ થઈ જતાં પાછળથી આવી રહેલી બસનું પાછળનું ટાયર દંપતી પર ફરી વળ્યું હતું. મંદિરે ફૂલ લઈને દર્શન કરવા જઈ રહેલા ટંડેલ દંપતીનાં અકસ્માતમાં મોત થયાં હતાં. જેથી ટ્રાફિક જામ થયો હતો.

માહિતી મળતાં જ પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બસનો ચાલક પણ અકસ્માત બાદ પોલીસમાં હાજર થઈ ગયો હતો. હાલ પોલીસ સમગ્ર અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે.

મંદિરે જતાં મોત મળ્યું
માછીવાડ મોટા તાઈવાડનાં લક્ષ્મીબહેન અને ધીરુભાઈ ટંડેલ (55) ધરમપુર રોડ પર પોતાનું બાઈક લઈને જઈ રહ્યાં હતા એ દરમિયાન આરપીએફ ગ્રાઉન્ડ પાસે બાઇક સ્લિપ થઈ ગયું હતું અને તેઓ રોડ પર પટકાયાં હતાં. આ દરમિયાન પાછળથી આવતી બસનું ટાયર દંપતી પરથી ફરી વળ્યું હતું. દંપતી કચડાયાની બસચાલકને જાણ થતાં તેણે બસ થંભાવી દીધી હતી.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.