કંગનાના વિવાદાસ્પદ નિવેદન સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. કંગનાના ‘ભીખમાં મળેલી આઝાદી’વાળા નિવેદન પર વિવાદ હજી પણ જારી છે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. કંગનાએ કેટલાક દિવસો પહેલાં કહ્યું હતું કે ભારતને 1947માં જે આઝાદી મળી હતી, એ ‘ભીખ’માં મળી હતી. ભારતને ‘અસલી આઝાદી’ 2014માં મળી હતી. તેના આ નિવેદને હંગામો મચાવી દીધો હતો. એની ખૂબ ટીકા થઈ હતી.

કંગના રણોતની સામે 28 ડિસેમ્બરે ભરત સિંહ (મુંબઈ કોંગ્રેસ જનરલ સેક્રેટરી) દ્વારા બેજવાબદાર નિવેદનની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ટિપ્પણીને કારણે એક્ટ્રેસે લાંબા સમય સુધી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફરિયાદ વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં એડવોકેટ આશિષ રાય અને અંકિત ઉપાધ્યાય દ્વારા નોંધવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે કંગના દ્વારા બેજવાબદાર ઇન્ટરવ્યુ દ્વારા વિશ્વભરમાં ગયો હતો. આ નિવેદનથી ભારતીય નાગરિકો, ભૂતપૂર્વ સ્વાતંત્ર્યસેનાનીઓ, નાયકો અને ભૂતપૂર્વ નેતાઓની રાષ્ટ્રીય ગરિમા અને સન્માનને ઠેસ પહોંચી છે. એને રાષ્ટ્રીય ગરિમા અને ગેરબંધારણીય જણાવવામાં આવ્યું હતું. આ નિવેદનની તુલના દેશમાં રમખાણો અને ભયની સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.

આ નિવેદન પછી કંગનાની સામે કેટલીય ફરિયાદો નોંધવામાં આવી હતી. એની સાથે તેની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માગ પણ થઈ હતી. લોકોએ રસ્તા પર આવીને ગુસ્સામાં તેના પૂતળાં પણ બાળવામાં આવ્યાં હતાં. કંગના રણોત હાલના દિવસોમાં ‘ટીકુ વેડ્સ શેરુ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.