માધુરીએ કોરોના રસીનો બીજો ડોઝ પણ લીધો

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત ફિટનેસની બાબતમાં ખૂબ સજાગ રહે છે અને કોરોનાવાઈરસ સામે પણ પૂરી તકેદારી લઈ રહી છે. એણે ગઈકાલે કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે અને દરેક જણને અપીલ કરી છે કે તેઓ રસી લઈ લે. ટ્વિટરના માધ્યમથી માધુરીએ લોકોને અપીલ કરી છે કે રસી જેવી તમને ઉપલબ્ધ થાય કે તરત જ એ લઈ લેજો.

માધુરી ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરવાની છે. એ ફાઈન્ડિંગ અનામિકા વેબસિરીઝમાં જોવા મળશે. તે શૉમાં માધુરી એક સુપરસ્ટારની ભૂમિકા કરી રહી છે જે ગાયબ થઈ જાય છે. આ શોનું દિગ્દર્શન કરિશ્મા કોહલી અને બિજોય નામ્બિયારે કર્યું છે. દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. નીલ નીતિન મુકેશ, સોનૂ સૂદ, મનીષ મલ્હોત્રા, પૂજા ભટ્ટ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, કેટરીના કૈફ, પરેશ રાવલ જેવા અનેક બોલીવૂડ સિતારાઓ આ બીમારીનો શિકાર બની ચૂક્યાં છે.