પપ્પાએ ક્યારેય મારા માટે ફિલ્મ બનાવી નથીઃ અભિષેક બચ્ચન

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના અકાળે મૃત્યુને પગલે બોલીવૂડમાં નેપોટિઝમ (સગાવાદ) મામલે ચર્ચા ચાલી રહી છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જૂથવાદ અને સગાવાદ પ્રવર્તતો હોવા વિશે ઘણી ચર્ચા ચાલે છે. આ મુદ્દે અભિનેતા અભિષેક બચ્ચને પોતાના મંતવ્યો શેર કર્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું કે મારા પિતા (મેગાસ્ટાર અમિતાભ બચ્ચન)એ ક્યારેય કોઈને ફોન કરીને મને ફિલ્મ અપાવવાનો પ્રયત્ન કર્યો નથી કે ક્યારેય મારા માટે કોઈ ફિલ્મ બનાવી નથી.

એનાથી ઊલટું, મેં એમના માટે એક ફિલ્મ બનાવી હતી – ‘પા’, એમ અભિષેકે વધુમાં કહ્યું.

અભિષેકે કહ્યું કે, જ્યારે કોઈ કલાકાર એની પહેલી જ ફિલ્મમાં દર્શકોને પ્રભાવિત કરી ન શકે કે ફિલ્મ કમાણી કરી ન શકે તો એ કલાકારને નવી ફિલ્મ મેળવવામાં બહુ તકલીફ પડતી હોય છે.

‘મને ખબર છે કે જ્યારે મારી ફિલ્મો સારી નહોતી ચાલી ત્યારે બીજી ફિલ્મોમાં મારી જગ્યાએ અન્ય અભિનેતાને પસંદ કરવામાં આવ્યા હતા. એવી જ રીતે, મારી અમુક ફિલ્મો સારી કમાણી કરી શકી નહોતી એટલે મારી ફિલ્મો માટે બજેટ પણ રખાતું નહોતું, કારણ કે એ વખતે હું પૈસા કમાવી આપું એવો કલાકાર નહોતો, ’ એમ અભિષેકે કહ્યું.