બિહારના સમસ્તીપુરથી PM મોદીનો ચૂંટણીપ્રચારનો શંખનાદ

પટનાઃ બિહારના સમસ્તીપુરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. ચૂંટણીની જાહેરાત પછી વડા પ્રધાન મોદી બિહારમાં પોતાની પ્રથમ જનસભાને સંબોધશે. પ્રથમ સભા બપોરે 12:15 કલાકે સમસ્તીપુરમાં અને બીજી બપોરે બે વાગ્યે બેગુસરાયમાં યોજાશે.

મોદી સમસ્તીપુરથી અભિયાનની શરૂઆત કરશે, જે ભારત રત્ન કર્પૂરી ઠાકુરનું જન્મસ્થળ છે. તેઓ 1970ના દાયકામાં બિહારના CM રહ્યા હતા. આ વર્ષે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બિહારના પ્રખ્યાત સમાજવાદી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સામાજિક ન્યાય અને વંચિત વર્ગોના ઉન્નતિ માટેના તેમના સમર્પણ માટે યાદ કરવામાં આવે છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાની તેમની નીતિઓએ રાજ્યના રાજકારણ પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.

શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ વડા પ્રધાન મોદી બપોરે 12:15 કલાકે સમસ્તીપુર અને બે વાગ્યે બેગુસરાયમાં જનસભાને સંબોધશે.. એનડીએ સરકાર બિહારમાં પોતાની સિદ્ધિઓનું પ્રચાર કરી રહી છે. વડા પ્રધાન મોદીએ ગુરુવારે રાજ્યના યુવા કાર્યકરો સાથેના વર્ચ્યુઅલ સંવાદમાં વિરોધ પક્ષ પર તીવ્ર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બિહારમાં ‘જંગલરાજ’ વિશે આવતાં 100 વર્ષ સુધી ચર્ચા થતી રહેશે. વિરોધ પક્ષ પોતાના કુકર્મો છુપાવવાનો જેટલો પણ પ્રયાસ કરે, પરંતુ જનતા તેમને માફ નહીં કરે.

તેજસ્વી યાદવને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કર્યા બાદ મોદીએ આરજેડી–કૉંગ્રેસ પર નિશાનો સાધતાં કહ્યું હતું કે વિરોધી ગઠબંધન કોઈ “ગઠબંધન” નથી, પરંતુ “લઠબંધન” (અપરાધીઓનું ગઠબંધન) છે. મોદીએ કહ્યું કે દિલ્હીના અને બિહારના બધા નેતાઓ જામીન પર બહાર છે.

મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું કે તેઓ વડીલ લોકોને પ્રોત્સાહિત કરે કે તેઓ યુવાનોને જંગલરાજ દરમિયાન થયેલા અત્યાચાર વિશે જણાવી શકે. મોદીએ સંકેત આપ્યો કે તે સમય RJDપ્રમુખ લાલુપ્રસાદ મુખ્ય મંત્રી હતા.

‘મેરા બુથ સૌથી મજબૂત: યુવા સંવાદ’ કાર્યક્રમને ઑડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા મોદીએ કહ્યું કે બિહારમાં “જંગલરાજ”ને લોકો આવતા 100 વર્ષ સુધી નહીં ભૂલે. વિરોધ પક્ષ પોતાની કરતૂતો છુપાવવાનો પ્રયત્ન કરે, પરંતુ જનતા માફ નહીં કરે.