નવી દિલ્હીઃ સોનમ વાંગચુકની ભૂખ હડતાળ ખતમ થયા બાદ કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ શુક્રવારે જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. એ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે સરકાર આજે રાત્રે (શુક્રવારે) તેમને અને તેમની ટીમની ધરપકડ કરાવે એવી શક્યતા છે. જંતર-મંતર ખાતે એકત્ર થયેલા પ્રદર્શનકારીઓને સંબોધતાં તેણે કહ્યું હતું કે મને હમણાં જ એક માહિતી મળી છે કે આજે રાત્રે કદાચ કોક્રોચ જનતા પાર્ટીની ટીમની ધરપકડ કરવામાં આવી શકે છે. હું સરકારને કહેવા માગું છું કે ધરપકડ શા માટે કરવી? અમે અહીં શાંતિપૂર્ણ રીતે બેઠા છીએ. આજે 35 દિવસ થઈ ગયા છે. આટલું શાંતિપૂર્ણ પ્રદર્શન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ ક્યારેય થયું નથી.

તેણે આગળ કહ્યું હતું કે અમે મહાત્મા ગાંધીના માર્ગે ચાલનારા લોકો છીએ, ડો. બાબાસાહેબ આંબેડકરને માર્ગે ચાલનારા લોકો છીએ અને બંધારણને માર્ગે ચાલનારા લોકો છીએ. તમને ભારતના બંધારણથી શું સમસ્યા છે કે તમે અમારી ધરપકડ કરવા માગો છો? અને હું કહેવા માંગું છું કે આ ભૂલ ન કરશો. તમે સોનમ સાહેબને અહીંથી કિડનેપ કરીને આ આંદોલનને વધુ મોટું બનાવી દીધું.
VIDEO | Delhi: “According to new input, CJP team members may be arrested tonight”, says CJP Founder Abhijeet Dipke, urging protesters to continue movement across nation even after arrest.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/6AW7aACtxQ
— Press Trust of India (@PTI_News) July 24, 2026
ધરપકડ થશે તો આંદોલન વધુ મોટું બનશે
સરકારને ચેતવણી આપતાં તેણે કહ્યું હતું કે અમારી ધરપકડ કરીને ત્રીજી ભૂલ ન કરશો, નહીં તો આ આંદોલન વધુ મોટું બનશે. હું આપ સૌને વિનંતી કરું છું કે જો આજે રાત્રે અમારી ટીમની ધરપકડ કરવામાં આવે, તો આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે આગળ વધારવાની જવાબદારી તમારી છે. મને આપ સૌ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમે દેશભક્ત લોકો છો. તમે કાયદાનું પાલન કરનારા લોકો છો. તમે એવી કોઈ પણ વસ્તુ નહીં કરો જેનાથી આપણા દેશને નુકસાન થાય.




