અમેરિકા-ઈરાન સીઝફાયર પર શહબાઝ શરીફની X પોસ્ટને લઈને વિવાદ

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાન સાથે બે સપ્તાહના અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ આ “દ્વિપક્ષી સીઝફાયર” છે. ટ્રમ્પે પોતાની સોશિયલ મિડિયા પોસ્ટમાં આ માટે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને પણ શ્રેય આપ્યુ હતું.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ વાત સત્તાવાર X પોસ્ટમાં કહી હતી. જોકે હવે તેઓ સોશિયલ મિડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. એનું કારણ એ છે કે સોશિયલ મિડિયા યુઝર્સનો આરોપ છે કે વડા પ્રધાને યુદ્ધ સંબંધિત પોસ્ટ પોતે લખી નહોતી, પરંતુ કન્ટેન્ટ કોપી-પેસ્ટ કર્યું હતું. અનેક યુઝર્સે તેમની X પોસ્ટની એડિટ હિસ્ટરી શેર કરી છે, જે દર્શાવે છે કે પોસ્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. એડિટ હિસ્ટરીમાં મૂળ પોસ્ટ સાથે “Draft – Pakistan’s PM Message on X” લખેલું જોવા મળ્યું હતું.

એ પછી કથિત રીતે એડિટ ફીચરનો ઉપયોગ કરીને આ ભાગ દૂર કરવામાં આવ્યો હતો, પરંતુ યુઝર્સ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ મેસેજ તેમને કોણે મોકલ્યો હતો, કારણ કે કોઈ પણ પાકિસ્તાની અધિકારી તેમને “પાકિસ્તાન PM” તરીકે સંબોધિત નહીં કરે.

અમેરિકાએ ઈરાનને ચેતવણી આપ્યા બાદ શહબાઝ શરીફે બંને દેશોની મધ્યસ્થતા માટે અપીલ કરી હતી. તેમણે X પોસ્ટમાં લખ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે રાજદ્વારી પ્રયાસો સતત, મજબૂત અને અસરકારક રીતે આગળ વધી રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં નક્કર પરિણામોની શક્યતા છે. કૂટનીતિને કામ કરવાની તક આપવા માટે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમયમર્યાદા બે સપ્તાહ સુધી વધારવાની વિનંતી કરી હતી.

પાકિસ્તાને ઈરાનને સદ્ભાવના તરીકે આ સમયગાળા દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની પણ અપીલ કરી હતી. એ સાથે જ તમામ યુદ્ધમાં સામેલ પક્ષોને બે સપ્તાહ સુધી દરેક જગ્યાએ યુદ્ધવિરામ પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી, જેથી કૂટનીતિ યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી શકે અને વિસ્તારમાં લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા સ્થાપિત થઈ શકે.