ખેડૂતો માટે ચૂંટણી પહેલાં આ મહત્વપૂર્ણ જાહેરાતની શક્યતા

નવી દિલ્હીઃ મોદી સરકાર વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવા પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત સરકાર ખેડુતોને પ્રતિ એકર વાર્ષિક 10 હજાર રુપિયા આપવાની જાહેરાત કરી શકે છે. ખેડૂતો આ પૈસાથી બીજ, ખાતર, અને ખેતીમાં કામ આવનારી અન્ય બીજી વસ્તુઓ પર ખર્ચ કરી શકે છે. ઉપજની યોગ્ય કીમત ન મળવા પર ખેડૂતોની હાલત ખરાબ છે અને તેને લઈને નારાજગી વ્યાપેલી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર સરકાર ચૂંટણી પહેલા એવી યોજના લાવવા ઈચ્છે છે જેનાથી લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડી શકાય. વડાપ્રધાન મોદી ખેડૂતોની દેવા માફી મામલે ના કહી ચૂક્યાં છે. તેમનું કહેવું છે કે આનાથી ખેડૂતોને કોઈ ખાસ ફાયદો થતો નથી. ત્યારે સરકાર ખેડૂતોને પ્રતિ વર્ષ પ્રતિ એકર 10,000 રુપિયા આપવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. સરકારનું માનવું છે કે આ યોજનાને ચૂંટણી પહેલાં લાગુ કરવામાં આવે. અને પૈસા સીધા ખેડૂતોના બેંક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર વડાપ્રધાન મોદી સ્વતંત્રતા દિવસ એટલે કે 26 જાન્યુઆરીના રોજ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન કાર્યાલય આના માટે સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારો પાસેથી જરુરી આંકડા માગી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલય ખેડૂતોને પ્રતિ વર્ષ એક ચોક્કસ રકમ પ્રાપ્ત કરાવનારી તેલંગાણા અને ઓડિશામાં ચાલી રહેલી યોજના પર પણ અધ્યયન કરી રહી છે.

 

તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ રાજ્યોમાં ખેડૂતોની નારાજગી સરકાર પર ભારે પડી છે. તો કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો વાયદો કર્યો હતો તેના કારણે કોંગ્રેસ ખેડૂતોને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહી.