જીએસટી-રીફંડ ક્લેમ કરવા આધાર-નંબરની પુષ્ટિ કરદાતાઓ-માટે અનિવાર્ય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે જીએસટી રીફંડ ક્લેમ કરવા માટે એમના આધાર કાર્ડના નંબરને પ્રમાણિત કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. આ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. તેણે કહ્યું કે કરચોરીને લગતા અનેક પગલાંનો સમાવેશ કરવા માટે જીએસટી કાઉન્સિલે જીએસટીને લગતા નિયમોમાં સુધારા કર્યા છે. નવા નિયમોમાં જીએસટી રીફંડની ચૂકવણીને પણ સામેલ કરવામાં આવી છે. આ ચૂકવણી એવા બેન્ક એકાઉન્ટ્સમાં કરવામાં આવશે જે એવા જ PAN નંબર સાથે લિન્ક કરાયા હશે જેની સાથે જીએસટી રજિસ્ટર્ડ હોય.

નોટિફિકેશનમાં એમ પણ જણાવાયું છે કે જે બિઝનેસકર્તાઓ 1 જાન્યુઆરી, 2022થી માસિક જીએસટી ચૂકવશે અને સમરી રિટર્ન્સ ફાઈલ કરશે તેઓ તે પછીના મહિના માટે GSTR-1 સેલ્સ રિટર્ન્સ ફાઈલ કરી નહીં શકે. કરચોરીના બનાવોને અટકાવવા માટે સરકારે બિઝનેસ પ્રોપ્રાઈટર, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડાઈરેક્ટર, હોલ ટાઈમ ડાઈરેક્ટર અને ઓથોરાઈઝ્ડ સહીકર્તા માટે રજિસ્ટ્રેશનનું રદબાતલ પાછું ખેંચવવા માટેની અરજી નોંધાવવા અને રીફંડ અરજી નોંધાવવા માટે એમના આધાર કાર્ડ નંબરનું પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે.