આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના કેસોની સંખ્યા દેશમાં ફરી વધી જતાં અને આ રોગ સંબંધિત મરણનો આંક પણ વધી જતાં કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર મૂકેલો પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.

દેશમાં નાગરી વિમાનસેવા ક્ષેત્રની રેગ્યુલેટર સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) મારફત સરકારે આ નિર્ણય લીધો છે. આનો મતલબ એ કે 31 ડિસેમ્બર સુધી દેશમાંથી કોઈ પેસેન્જર ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉપડશે નહીં કે વિદેશમાંથી ભારતમાં આવશે નહીં.

જોકે આ સમયગાળા દરમિયાન ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિમાન સેવા ચાલુ રહેશે. આ મિશન અંતર્ગત ભારત સરકાર સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.