બેંક શેરોમાં નવી લેવાલીથી શેરબજાર ઘટયા મથાળેથી ઊંચકાયું

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ રહી હતી. આજે સવારથી લેવાલી અને વેચવાલી એમ બે બાજુના કામકાજ હતા, જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં બેંક શેરોમાં જોરદાર લેવાલી નિકળતાં સેન્સેક્સ ઘટ્યા મથાળેથી ઝડપી 255 પોઈન્ટ ઉછળ્યો હતો. તેમ છતાં ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 21.04(0.06 ટકા) ઘટી 33,835.74 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 15.95(0.15 ટકા) ઘટી 10,410.90 બંધ થયો હતો.ગ્લોબલ માર્કેટના નેગેટિવ ન્યૂઝ પાછળ ભારતીય શેરબજાર નરમ ઓપન થયું હતું, ત્યાર પછી નવી વેચવાલી ફરી વળતાં સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. પીએનબી કૌભાંડ બહાર આવ્યા પછી બેંક શેરોના ભાવ તૂટ્યા હતા. આ બેંક શેરોમાં નીચા મથાળે નવી લેવાલીથી બેંક ઈન્ડેક્સ ઊંચકાયો હતો, તેની પાછળ સેન્સેક્સ અને નિફટી પણ ઘટ્યા મથાળેથી ઝડપી ઊંચકાયા હતા. તમામ બેંક શેરોના ભાવ પ્લસ બંધ રહ્યા હતા.

લોકસભામાં બજેટ 2018-19 કોઈપણ ચર્ચા કે હોબાળા વગર પાસ થઈ ગયું હતું, જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર સારી અસર પડી હતી.