પૅન કાર્ડને મળી નવી ઓળખઃ બિઝનેસ કરવાનું થશે આસાન

મુંબઈઃ નો યોર ક્લાયન્ટ (કેવાયસી)માં બધા માટે સમાન માપદંડ રાખવાને બદલે દરેક શ્રેણીને લાગુ પડતાં જોખમોના આધારે કેવાયસી કરાવવાનું રહેશે, એવું સરકારે નક્કી કર્યું છે.

નાણાપ્રધાને ડિજિ લૉકર સેવા મારફતે ઓળખ અને સરનામાના અપડેશન માટે એક સમાન વ્યવસ્થા કરવાની પણ જાહેરાત કરી છે.

નિર્મલા સીતારામને કરેલી અન્ય જાહેરાત મુજબ સરકારી ઍજન્સીઓની ડિજિટલ સિસ્ટમ માટે બિઝનેસ સંસ્થાઓની ઓળખ પૅન નંબર દ્વારા થશે. કેવાયસીની પ્રક્રિયા દરેક વર્ગને લાગુ થતા જોખમના આધારે નક્કી થશે. ડિજિટલ ઇન્ડિયાની જરૂરિયાતો પૂરી થાય એવી કેવાયસીની સિસ્ટમ રાખવા માટે નાણાકીય ક્ષેત્રના નિયમનકારોને પ્રોત્સાહન આપવામાં આવશે.

બિઝનેસ સંસ્થાઓએ પૅન નંબર ફરજિયાત રાખવો પડશે અને એને પગલે નિર્ધારિત સરકારી ઍજન્સીઓની ડિજિટલ સિસ્ટમમાં પૅન મારફતે ઓળખ પ્રસ્થાપિત થશે. એને પગલે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ વધશે અને આ વ્યવસ્થા કાનૂની સ્વરૂપ આપીને કરવામાં આવશે. અલગ અલગ સરકારી ઍજન્સીઓને સમાન માહિતી અલગ અલગ રીતે આપવી એને બદલે એકસમાન ફાઇલિંગ પ્રક્રિયા દ્વારા આપી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ફાઇલિંગ કે રિટર્ન એકસમાન પોર્ટલ પર કરી શકાશે અને ફાઇલ કરનાર એન્ટિટીની ઈચ્છાનુસાર એનું શેરિંગ કરવામાં આવશે, એમ નાણાપ્રધાને કહ્યું છે.