BSE ઈ-એગ્રિકલ્ચર્સ માર્કેટ, ખેડૂતો મહારાષ્ટ્રમાં બજારનું સર્જન કરશે

મુંબઈ તા.8 જૂન, 2021ઃ બીએસઈ ઈ એગ્રીકલ્ચરલ માર્કેટ્સ (બીઈએમ)એ મહારાષ્ટ્ર રાજ્યના નાના ખેડૂતોની આવક વધારવાના હેતુથી  હરિદ્ર લક્ષ્મી સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો છે. આ એમઓયુ હેઠળ આ સંસ્થાઓ જેની પ્રતિનિધિ છે એવી ફિઝિકલ માર્કેટ્સને જાણકારીની વહેંચણી, શિક્ષણ અને તાલીમ દ્વારા વૈશ્વિક સ્તરની માર્કેટ ટેકનોલોજીસ પૂરી પાડી તેમની કાર્યક્ષમતા વધારવાનો છે. આ બંને કંપનીઓ આ પ્રદેશમાંના વેરહાઉસીસ સાથે મળીને ઈલેક્ટ્રોનિક વેરહાઉસ રિસિપ્ટ્સ અપનાવશે. આમ આ એમઓયુના સહકારને પગલે નાના ખેડૂતોને લાભ થશે.

બંને કંપનીઓ રાજ્યના ખેડૂતો સાથે સીધો ગાઢ સંપર્ક ધરાવતી સંસ્થાઓ સાથે મળીને કામ કરશે, જેમાં ગોદાવરી અર્બન મલ્ટીસ્ટેટ ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિમિટેડ, સૂર્ય ફાર્મર પ્રોડ્યુસર કંપની અને તુકાઈ એગ્રો ફાર્મર પ્રોડ્યુસર કંપનીનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ મહારાષ્ટ્ર સહિત તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં ઉપસ્થિતિ ધરાવે છે. તેમના સભ્યો હળદર, રૂ, મકાઈ અને સોયાબીન વગેરે વિવિધ કોમોડિટીઝના રિટેલ સહિતના વેપારમાં જોડાયેલા છે.

આ સમજૂતી કરાર નિમિત્તે સંસદસભ્ય હેમંત શ્રીરામ પાટીલે કહ્યું કે આ એમઓયુથી ફાર્મર પ્રોડ્યુસર કંપનીઝ અને ખેડૂતોને બીએસઈની અત્યાધુનિક માર્કેટ ટેકનોલોજીસનો લાભ મળશે. હળદરના ખેડૂતોને તેનાથી ઘણો લાભ થશે. અમે આ વિસ્તારમાં હળદરના પ્રોસેસિંગની ક્ષમતા વધારવા માટે પણ કામ કરી રહ્યા છીએ.

બીઈએએમના સીઈઓ રાજેશ સિંહાએ કહ્યું કે બીએસઈ અને બીઈએએમની સર્વિસીસ ખેડૂતોની માલિકી અને સંચાલન ધરાવતી સંસ્થાઓને ઉપલબ્ધ કરાઈ એ આનંદદાયી ઘટના છે. આ એમઓયુ બતાવે છે કે વિશ્વ સ્તરની ટેકનોલોજીસ નાના ખેડૂતોને ઉપલબ્ધ કરાવી શકાય છે. આ પહેલથી ફિઝિકલ સ્પોટ માર્કેટને લાભ થશે અને ખેડૂતોને તેમની પેદાશના સ્પર્ધાત્મક ભાવ મળશે.