છેલ્લા 25 દિવસથી સતત ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ અને શિક્ષણ કાર્યકર્તા સોનમ વાંગચુક અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાંથી એક વીડિયો સંદેશ જાહેર કરીને સોનમ વાંગચુકે દેશવાસીઓને જણાવ્યું છે કે 25 દિવસના કઠોર અન્નત્યાગ બાદ પણ તેઓ હજુ જીવતા છે. તેમણે માહિતી આપી હતી કે આ ભૂખ હડતાળ દરમિયાન તેમનું વજન આશરે 11 કિલો જેટલું ઘટી ગયું છે અને શરીરમાં ભારે નબળાઈ અનુભવાઈ રહી છે. આ સાથે જ તેમણે 20 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન કરનારા યુવાનોના ધૈર્ય અને શાલીનતાના મુક્ત મને વખાણ કર્યા હતા.
ABHI BHI ZINDA HUN…. DAY 25 pic.twitter.com/SnwKXMfvOO
— Sonam Wangchuk (@Wangchuk66) July 22, 2026
આ વીડિયો સંદેશ પહેલાં સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને એક ખાસ પત્ર પણ લખ્યો છે. પત્રમાં તેમણે તાજેતરમાં થયેલી મુલાકાત બદલ મંત્રીઓનો આભાર માન્યો હતો અને નોંધ્યું હતું કે સરકારે તેમની માંગણીઓ પર સકારાત્મક વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું છે. જોકે, તેમણે પોતાનો અનશન સમાપ્ત કરવા માટે સરકાર સમક્ષ એક સ્પષ્ટ શરત મૂકી છે. તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર પ્રદર્શનમાં સામેલ થયેલા આંદોલનકારી વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે એફઆઈઆર (FIR) નહીં કરવાનો લેખિત ભરોસો આપે, તો તેઓ તુરંત જ પોતાના પારણાં કરી લેશે.
પત્રમાં દર્શાવેલી બે મુખ્ય માંગણીઓ
સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીઓને લખેલા પત્રમાં પોતાની બે મુખ્ય માંગણીઓનો ખાસ ઉલ્લેખ કર્યો છે:
પીડિત પરિવારોને વળતર: પેપર લીકની ઘટનાઓથી હતાશ થઈને આત્મહત્યા કરનારા નિર્દોષ વિદ્યાર્થીઓના પરિવારોને સરકાર દ્વારા યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે.
સંસદમાં રાજીનામા પર ચર્ચા: દેશની શિક્ષણ વ્યવસ્થાની ક્ષતિઓ અને પેપર લીક મામલે સંસદમાં શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવે.
‘ચલો સંસદ’ માર્ચ પર પોલીસ બળપ્રયોગનો આરોપ
પોતાના નિવેદનમાં વાંગચુકે 20 જુલાઈના રોજ યોજાયેલા ‘ચલો સંસદ’ માર્ચનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓનો આ આક્રોશ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હતો. તેમણે આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે અતિશય અને અસંગત બળપ્રયોગ કર્યો હતો, તેમ છતાં યુવાનોએ સંયમ જાળવી રાખ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર દમનકારી નીતિ છોડીને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેશે.


