પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો મેસેજ જારી કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર તુરંત જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મોડી રાત્રે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી (PMO) ડૉ. જિતેન્દ્ર સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને કેન્દ્રીય મંત્રીઓ સાથેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. નીટ (NEET) પેપર લીક અને પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં 26 દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાનું અનશન પાછું ખેંચી લીધું છે. બંને મંત્રીઓએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારની દંડાત્મક કે કાનૂની કાર્યવાહી ન કરવા, પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવા અને સંસદમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવાનું મજબૂત આશ્વાસન આપ્યું છે.
PM મોદીની સોશિયલ મીડિયા પર અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સોનમ વાંગચુકને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું, હું સોનમજીને વિનંતી કરું છું કે તેઓ તબીબોની સલાહ મુજબ પોતાની દિનચર્યા રાખે અને વહેલામાં વહેલી તકે પોતાનું જૂનું વજન ફરીથી પ્રાપ્ત કરે.” આ સાથે જ તેમણે ઈશ્વરને પ્રાર્થના કરતા કહ્યું કે સોનમ વાંગચુક ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થાય. પ્રધાનમંત્રીના આ સંદેશને આંદોલન વચ્ચે સરકારના અત્યંત સકારાત્મક વલણ તરીકે જોવામાં આવી રહ્યો છે.

65 સાંસદોની અપીલ અને લાંબી વાટાઘાટો
આ અગાઉ સોનમ વાંગચુકે પોતે ટ્વિટ કરીને ઉપવાસ તોડવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ડૉ. જિતેન્દ્ર સિંહ અને લેહ એપેક્સ બોડીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. વાંગચુકના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 જેટલા સાંસદોએ તેમને રૂબરૂ મળીને અથવા પત્ર મોકલીને અનશન છોડવાની અપીલ કરી હતી. દેશમાં કોઈ પણ પ્રકારની સંભવિત હિંસાની આશંકાને ટાળવા અને વિવિધ શરતો પર થયેલી લાંબી વાટાઘાટો બાદ તેમણે આ ઉપવાસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે.
મેદાંતા હોસ્પિટલમાં મહત્વની બેઠક
દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે બંને કેન્દ્રીય મંત્રીઓ તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ વાંગચુકના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. વાંગચુકે સરકાર સમક્ષ માંગ રાખી હતી કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામે કોઈ પણ પોલીસ કે કાનૂની કાર્યવાહી કરવામાં ન આવે, પીડિત પરિવારોને આર્થિક વળતર આપવામાં આવે અને સંસદમાં આ ગંભીર મુદ્દા પર નક્કર ચર્ચા થાય.
સંસદીય ચર્ચા અને સુરક્ષાના આશ્વાસન પર અનશનનો અંત
કેન્દ્રીય મંત્રીઓ તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન બાદ સોનમ વાંગચુકે પોતાનું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જે.પી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે સરકાર સંસદમાં પેપર લીકના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવા તૈયાર છે અને વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ પ્રાથમિકતાના ધોરણે લાવવામાં આવશે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ, નિષ્ણાત તબીબોની ટીમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે અને તેમના તમામ વાઈટલ પેરામીટર્સ હાલમાં સ્થિર છે.




