વિસ્તારાની સીધા બુકિંગમાં ચેન્જ ફી માફ કરવાની ઘોષણા

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રસરેલા કોરોના રોગચાળાને કારણે એર ટ્રાવેલમાં અનિશ્ચિતતા અને વિવિધ રાજ્યોમાં આવ-જા પર લાગેલા પ્રતિબંધોની વચ્ચે એક પ્રાઇવેટ કેરિયરે વિસ્તારાએ નવાં બુકિંગ્સમાં ચેન્જ ફીમાં માફીની ઘોષણા કરી છે. ટાટા સન્સ અને સિંગાપુર એરલાઇન્સના સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઇને 31 માર્ચ સુધી બધાં સીધાં બુકિંગ પર ચેન્જ ફીમાં માફીની જાહેરાત કરી છે. વળી, એમાં એરલાઇને મેકમાયટ્રિપ, યાત્રા અને ક્લિયરટ્રિપ્સ જેવી એજન્ટોની વેબસાઇટ દ્વારા થતી ફ્લાઇટની ટિકિટો પર આ માફ ફીનો સમાવેશ નથી કર્યો.

દેશમાં કોરોના કેસોમાં વધારાને કારણે વિવિધ રાજ્ય સરકારો દ્વારા લગાવાયેલાં નિયંત્રણોને કારણે એર ટ્રાવેલની માગમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો, એમ ખાનગી એરલાઇને કહ્યું હતું. અમારે ત્યાં ગયા મહિનાની તુલનાએ ફેબ્રુઆરીમાં એર ટ્રાફિકમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો, એમ કંપનીએ કહ્યું હતું. એરલાઇને ફેબ્રુઆરીમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અથવા રિશિડ્યુઅલ કરવી પડી છે. જેથી મોટી સંખ્યામાં પ્રભાવિત યાત્રીઓએ કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક સાધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને સોશિયલ મિડિયાનો સહારો લેવો પડ્યો હતો.

જે પછી કંપનીના પ્રવક્તાએ એરલાઇનની ટિકિટ ખરીદનારા ગ્રાહકોને જણાવ્યું હતું કે કંપની રિફંડ વગેરેમાં મદદ કરી રહી છે. વળી તેમણે કહ્યું હતું કે અમે ટ્રાવેલ એજન્ટોને પણ ગ્રાહકોની મદદ કરવા માટે અધિકાર આપ્યા છે.