ટ્વિટર સાથે તકરાર વચ્ચે ફેસબુકે નવા IT નિયમો આવકાર્યા

નવી દિલ્હીઃ સોશિયલ દિગ્ગજ ફેસબુકે નાગરિકોના અધિકારોની સુરક્ષા અને સોશિયલ-ઓનલાઇન ન્યૂઝ મિડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા નવા IT નિયમોનું સ્વાગત કર્યું છે. નવા નિયમોમાં સમજમાં આવે છે, એમ ફેસબુક ઇન્ડિયાના MD અજિત મોહને જણાવ્યું હતું.

ફેસબુક અને ગ્રુપ કંપનીઓ પ્લેટફોર્મને યુઝર્સ માટે સુરક્ષિત બનાવવા માટે પગલાં લઈ રહી છે. સરકાર બેડ એક્ટર દ્વારા સોશિયલ મિડિયાના પ્લેટફોર્મના દુરુપયોગને સીમિત કરવા ઇચ્છે છે અને એ એજન્ડા અમે સાથે મળીને કરી રહ્યા છીએ. ઓનલાઇન સુરક્ષાનો એજન્ડા અમારા માટે મહત્ત્વનો છે, ખાસ કરીને એવો દેશ –જ્યાં અમારી પાસે 70 કરોડ લોકો ઓનલાઇન છે. મને લાગે છે કે હાનિકારક કન્ટેન્ટની જવાબદારી માટે નિયમો રાખવા એક માળખું હોવું જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું. આ પહેલાં મંગળવારે ફેસબુક અને ગૂગલના પ્રતિનિધિઓએ સોશિયલ મિડિયાના દુરુપયોગ અને નાગરિકોના હકોની સુરક્ષા મુદ્દે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી. સરકારે તેમણે નવા IT નિયમો, સરકારી નિર્દેશો અને કોર્ટના ચુકાદાઓનું પાલન કરવા નિર્દેશ આપ્યા હતા.

કોંગ્રેસના સંસદસભ્ય શશિ થરૂરની અધ્યક્ષતાવાળી પેનલે તેમને દિલ્હીમાં સંસદના સચિવાલયમાં વ્યક્તિગતરૂપે ઉપસ્થિત થવા માટે કહ્યું હતું. સરકાર દ્વારા ફેસબુક અને ગૂગલના પ્રતિનિધિઓને કહેવામાં આવ્યું હતું કે તેમની હાલની ડેટા સુક્ષા અને પ્રાઇવસી નીતિમાં ખામીઓ છે અને તેમણે ઉપભોક્તાઓના ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા માટે આકરાં માપદંડો નક્કી કરવા પડશે.