બિહાર ચૂંટણી: તેજસ્વી પ્રણ બાદ NDAનો સંકલ્પપત્ર જાહેર

પટનાઃ બિહાર ચૂંટણી માટે NDAએ તેનો સંકલ્પપત્ર જાહેર કર્યો છે. આ સંકલ્પપત્રમાં અનેક વચનો કરવામાં આવ્યાં છે. આ પહેલાં મહાગઠબંધને પણ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. તેજસ્વી યાદવે પણ ઘણી મોટી જાહેરાતો કરી છે, જ્યાં રોજગાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

NDAએ તેના સંકલ્પપત્રમાં એક કરોડ નોકરીઓ આપવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની મદદ આપવાની વાત કરવામાં આવી છે. એ સાથે જ એક કરોડ મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અતિ પછાત વર્ગના વિવિધ વ્યાવસાયિક જૂથો— તાંતી, તતમંજ, નિષાદ, મલ્લાહ, કેવટ, ગંગોટા, બિન્દ, નોનિયા, તેલી, તમોલી, બઢઈ, ધાનુક, લોહાડ, કુંભાર, નાઈ, શિલ્પકાર, ઠઠેરા, માળી, ચંદ્રવંશી, હલવાઈ, કાનૂ, દાંગી, તુરહા, અમત, કેવર્ત, રાજવંશી, ગડેરિયા વગેરેને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે. સંકલ્પપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ રચાશે, જે આ જાતિઓની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને સરકારને સશક્તીકરણ માટે ન્યાયસંગત સૂચનો આપશે.

NDAએ જાહેરાત કરી છે કે ‘કર્પૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ’ની શરૂઆત કરીને ખેડૂતને દર વર્ષે રૂ. 3000, કુલ રૂ. 9000ની સહાય અપાશે. એગ્રી-ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. એક લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની પણ વાત થઈ છે. આ ઉપરાંત ‘જુબ્બા સહની માછીમાર સહાયતા યોજના’ની શરૂઆતની પણ જાહેરાત થઈ છે. આ યોજનાના હેઠળ દરેક માછીમારને રૂ. 4500 આપવામાં આવશે અને કુલ રકમ રૂ. 9000 રહેશે.

NDAએ જાહેરાત કરી છે કે સરકાર બનશે ત્યારે ‘બિહાર દૂધ મિશન’ની શરૂઆત કરવામાં આવશે. દરેક સ્તરે ચિલિંગ અને પ્રોસેસિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત વચન આપવામાં આવ્યું છે કે સાત એક્સપ્રેસવે, 3600 કિ.મી. રેલ ટ્રેકનું આધુનિકીકરણ કરવામાં આવશે. એ સાથે જ અમૃત ભારત એક્સપ્રેસ અને નેમો રેપિડ રેલ સેવાનું વિસ્તરણ પણ કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય પ્રધાન અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય પ્રધાન અને HAM (S) ના નેતા જીતન રામ માંઝી, કેન્દ્રીય પ્રધાન અને LJP-રામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, RLMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા તથા અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.