ભવન્‍સ ખાતે દીક્ષાંત સમારોહ યોજ્યો, ઓલ-ઇન્ડિયા ટોપર્સનું સન્માન

અમદાવાદભવન્‍સ એચ. બી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (HBICM) એ મંગળવારે 51મો દીક્ષાંત સમારોહ ઉજવ્યો. ભારતીય વિદ્યાભવનના ગીતા હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો. ડિજિટલ મીડિયા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટ (IRPM) તથા ઇન્ટરનેશનલ ટ્રેડના વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ભવન્‍સના ટ્રસ્ટીઓ, શિક્ષણવિદો, માતા-પિતા અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા.

દીક્ષાંત સમારોહ ભારતીય વિદ્યાભવનના સ્થાપક કુલપતિ ડૉ. કે. એમ. મુન્શીની 138મી જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો. સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા ભારતીય વિદ્યાભવનના અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ ડૉ. મુકેશ પટેલે જણાવ્યું કે ભવન્‍સ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, પરંતુ એક પરિવાર છે. અમે હંમેશા અમારા વિદ્યાર્થીઓની સાથે ઊભા રહીએ છીએ,” એમ કહી તેમણે વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવન દરમિયાન પણ માતૃસંસ્થા સાથે જોડાયેલા રહેવાની અપીલ કરી.

મૂલ્યો સાથે કુશળતાના મહત્વ પર ભાર મૂક્તા સચિવ પ્રકાશ ભગવતીએ જણાવ્યું કે “વ્યવસાયિકતા આવશ્યક છે, પરંતુ હંમેશા ધરતી સાથે જોડાયેલા અને વિનમ્ર રહેવું જોઈએ,” એમ તેમણે કહ્યું અને કારકિર્દીમાં ઈમાનદારીને માર્ગદર્શક બનાવવાની સલાહ આપી. વ્યવહારુ દૃષ્ટિકોણ રજૂ કરતાં ખજાનચી ગૌરવ શાહે જણાવ્યું કે “સાચે જ કુશળ ઉમેદવાર ક્યારેય પાછળ રહેતો નથી.” એમ કહી તેમણે વિદ્યાર્થીઓને ઝડપથી બદલાતા વ્યાવસાયિક વાતાવરણમાં સતત પોતાની કુશળતા અપગ્રેડ કરવા પ્રોત્સાહિત કર્યા.

આ સમારોહ દરમિયાન પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા કુલપતિ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન બદલ ડિજિટલ મીડિયામાં શિરાલી ચાવડા, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ પર્સોનેલ મેનેજમેન્ટમાં વિધી પારેખ અને ઇન્ટરનેશનલ ટ્રેડમાં પ્રિયાંશી ખડકેને સન્માનિત કરવામાં આવ્યા.

એચ. બી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટના ડિરેક્ટર શ્યામ પારેખે સંસ્થાની મજબૂત પ્લેસમેન્ટ પરંપરા અને ઉદ્યોગકેન્દ્રિત તાલીમ પર પ્રકાશ પાડ્યો. “અમે વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે જરૂરી કુશળતાઓ સાથે તૈયાર કર્યા છે અને અમને ગર્વ છે કે ભવન્‍સના વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં માનનીય પદો પર કાર્યરત છે,” એમ તેમણે જણાવ્યું.

ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક અનુભવ અંગે સંક્ષિપ્ત અનુભવો શેર કર્યા અને સંસ્થાના સહાયક તથા પ્રેરક શૈક્ષણિક વાતાવરણની પ્રશંસા કરી. પ્રમાણપત્ર વિતરણ, સમૂહ ફોટોગ્રાફ અને અનૌપચારિક મુલાકાત સાથે સમારોહનો અંત આવ્યો, જે સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક સ્મરણિય ક્ષણ બની રહ્યો.